Ayodhya ram mandir helicopter service Started: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર 2023 સુધીમાં મંદિરના ભોંયતળિયાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં રામ લલ્લાના ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને દર્શન કાર્ય શરૂ કરવામાં આવશે. આ પહેલા યોગી સરકારે રામ ભક્તોને વધુ એક મોટી ભેટ આપી છે. જેનાથી રામ ભક્તો આકાશમાંથી રામનગરી અયોધ્યાના દર્શન કરી શકશે.
ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ અને હેરિટેજ એવિએશન દ્વારા અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર સુવિધાની મોટી ભેટ આપી છે. રામલલાના ભક્તો હવે હેલિકોપ્ટર દ્વારા સમગ્ર રામનગરી અયોધ્યાના દર્શન કરી શકશે. આને અયોધ્યા માટે મોટી ભેટ તરીકે જોવામાં આવી રહી છે.
હેલિકોપ્ટર સેવા રામ નવમી એટલે કે 30 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ભક્તો સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી આ સુવિધાનો લાભ લઈ આકાશમાંથી અયોધ્યાના દર્શન કરી શકશે. શરૂઆતમાં, હેલિકોપ્ટર સેવા 15 દિવસની ટ્રાયલ પર શરૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેની માંગ વધશે તો તેને આગળ પણ વધારી શકાય છે.
માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં એક સમયે 7 લોકો મુસાફરી કરી શકે છે, આ માટે દરેક યાત્રીએ 3 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હેરિટેજ એવિએશને કુંભ, પ્રયાગરાજ, મા વૈષ્ણો દેવી સહિત અનેક સ્થળોએ પોતાની સેવા આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો 15 દિવસના ટ્રાયલ દરમિયાન સારો પ્રતિસાદ મળે છે, તો આ સેવાને કાયમી પણ કરી શકાય છે.