Gujarati Video : અમદાવાદનો ઠગ ! PMO ના નામે જમ્મુ-કાશ્મીરમાં સરકારી અધિકારીઓને છેતર્યા, Z+ સિક્યોરિટી મેળવી માર્યો રોફ

Ahmedabad News : કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં PMOના અધિકારીની ઓળખ આપીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા. એટલું જ નહીં આ ઠગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.

| Edited By: | Updated on: Mar 17, 2023 | 11:47 AM

ગુજરાતી ઠગ કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી છે. ઠગબાજની ઠગાઇના અનેક કિસ્સા આપે જોયા હશે, પણ આજે અમે તમને આ મહાઠગ કિરણ પટેલ વિશે જણાવવાના છીએ. જેની ઠગાઇનો શિકાર ઉચ્ચ અધિકારીઓ બન્યા છે. જો કે CIDના ગુપ્ત સૂત્રોના કારણે આ ઠગ કિરણ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે.

કિરણ પટેલની જમ્મુ-કાશ્મીરની શ્રીનગર પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલ પર આરોપ છે કે તેણે ખોટી ઓળખ આપીને સરકારી બાબુઓને ઉલ્લુ બનાવ્યા હતા. કિરણ પટેલ વિરૂદ્ધ શ્રીનગર પોલીસે છેતરપિંડી સહિત કાયદાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી આરંભી છે.

કઇ રીતે જમ્મુ-કાશ્મીરના અધિકારીઓને છેતર્યા ?

કિરણ પટેલના કારસ્તાન પર નજર કરીએ તો આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં PMOના અધિકારીની ઓળખ આપીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા. એટલું જ નહીં આ ઠગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ખાસ વાત એ છે કે આરોપી કિરણે PMO ઓફિસના નામે પોલીસ પ્રોટેક્શન અને ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી હતી, તો ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પોલીસ પણ ઊભી રાખી હતી.

શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો

હદ તો ત્યારે થઇ જ્યારે કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોક અને ગુલમર્ગની પણ મુલાકાત લીધી. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આરોપી કિરણ પટેલ ગયા વર્ષના ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. ધરપકડ કરવામાં આવે તે પહેલા કિરણે ઉરીની કમાન પોસ્ટથી, નિયંત્રણ રેખાની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો.

કેવી રીતે ધરપકડ કરવામાં આવી ?

અહીં સવાલ એ સર્જાય કે ઠગબાજ કેવી રીતે પોલીસ સકંજામાં આવ્યો ? તો આપને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીર CIDને કેટલાંક ઇનપુટ મળ્યા હતા. જેમાં ખોટી ઓળખ આપીને ફરતા અધિકારીના ઈનપુટ આધારે શ્રીનગર પોલીસને કિરણ પટેલની અટકાયત કરી હતી. તપાસ કરતા કિરણનું કારસ્તાન ખુલ્લુ પડ્યું હતું અને હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લેવાઇ હતી. સૂત્રોનું માનીએ તો ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. મહત્વપૂર્ણ છે કે કિરણ પટેલ પર અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના આક્ષેપો થઈ ચૂક્યા છે.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા

ત્યારે સુરક્ષામાં ઘોર બેદરકારી સામે આવતા જ ,હવે હાઈ-લેવલની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ કિરણ પટેલને અધિકારીઓ સહિત સુરક્ષા વિભાગો ઓળખી ન શક્યા. કેમ સુરક્ષા દળો સહિત અધિકારીઓ કિરણ પટેલના ઝાંસામાં આવી ગયા. PMOનું નકલી ઓળખકાર્ડ બનાવ્યું હતું તો કેમ તેની પણ તપાસ ન કરવામાં આવી. જો કોઇ મોટા આતંકવાદી હુમલાને અંજામ મળ્યો હોત તો સવાલો અનેક છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે કિરણ પટેલની તપાસમાં વધુ કયા નવા ખુલાસા થાય છે.

Published On - 11:41 am, Fri, 17 March 23