
ભારતમાં ફૂડ સેફ્ટી અને ગ્રાહક જાગૃતિના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાની તૈયારીમાં છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા વધુ પડતી ખાંડ, મીઠું અને ફેટ ધરાવતા પ્રોસેસ્ડ ફૂડ તેમજ પીણાં પર લાલ રંગનું ચેતવણી લેબલ (Red Warning Label) લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પગલું ભારતીય ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે, કારણ કે તે તેમને ખરીદી કરતી વખતે વધુ જાગૃત અને માહિતીપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે.
આ પ્રસ્તાવ પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ચિપ્સ, કોલ્ડ ડ્રિન્ક્સ, પેકેજ્ડ સ્નેક્સ અને અન્ય પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં રહેલા હાનિકારક તત્વો વિશે ગ્રાહકો સંપૂર્ણપણે અજાણ હોય છે. મોટાભાગના લોકો પેકેટ તોડતા પહેલા તેમાં રહેલી પોષણ સંબંધિત માહિતી વાંચતા નથી. તેનું એક કારણ એ પણ છે કે આ માહિતી પેકેટની પાછળ અને ખૂબ જ નાના અક્ષરોમાં લખેલી હોય છે, જેને વાંચવાનું મોટાભાગે લોકો ટાળતા હોય છે. આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે FSSAI દ્વારા એક કવાયત હાથ ધરવામાં આવી છે. પશ્ચિમી દેશોની જેમ ભારતમાં પણ પેકેજ્ડ ફૂડ પર સ્પષ્ટ વોર્નિંગ લેબલ્સ લાગુ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
આરોગ્ય નિષ્ણાંતો દલીલ કરે છે કે ભારતમાં પ્રોસેસ્ડ ફૂડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે, અને તેના કારણે સ્થૂળતા (obesity) તથા જીવનશૈલી સંબંધિત બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લાલ ચેતવણી લેબલ્સ ખાસ કરીને એવા ઉત્પાદનો પર જોવા મળશે જેમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ફેટ, વધુ પડતી ખાંડ કે ગળપણ, વધુ પડતું મીઠું કે સોડિયમ, અને અતિશય ગળ્યા કોલ્ડ ડ્રિન્ક્સ તેમજ પેકેજ્ડ પીણાંનો સમાવેશ થાય છે. આ માહિતી ગ્રાહકોને ખરીદી વખતે નુકસાનકારક તત્વોને સરળતાથી ઓળખવામાં મદદરૂપ થશે.
જોકે, આ પ્રસ્તાવનો ફૂડ જાયન્ટ્સ અને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા આંતરિક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક બ્રાન્ડ્સનું માનવું છે કે પેકેટના આગળના ભાગ પર લાલ રંગની ચેતવણી મૂકવાથી તેમના ઉત્પાદનોના વેચાણ પર ખુબ મોટી નકારાત્મક અસર પડી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે વેપારી હિતોને લોકોના જીવન અને સ્વાસ્થ્ય કરતાં વધારે મહત્વ આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ખાસ ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું છે કે આજના સમયમાં બાળકો અને યુવાનો અલ્ટ્રા પ્રોસેસ ફૂડની આક્રમક જાહેરાતોનો શિકાર બની રહ્યા છે. પ્રોડક્ટ પેકેટ પર કોઈ સ્પષ્ટ વિઝ્યુઅલ વોર્નિંગ ન હોવાને કારણે માતા-પિતા કે બાળકો તેનાથી થતા પોષણ સંબંધી જોખમો કે સ્થૂળતાના ખતરાનો અંદાજ લગાવી શકતા નથી.
આ મામલે સુપ્રીમ કોર્ટે FSSAI ને ચેતવણી લેબલિંગનું ચોક્કસ માળખું તૈયાર કરવા માટે માત્ર બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે સ્થૂળતા અને જીવનશૈલી સંબંધિત બીમારીઓને રોકવા માટે ન્યુટ્રિશનલ ડેટા જાહેર કરવો ફરજિયાત છે અને કોમર્શિયલ નફા સામે પબ્લિક હેલ્થને પ્રાથમિકતા આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ફૂડ કંપનીઓએ પોતાના નફા કરતાં લોકોના સ્વાસ્થ્યને આગળ રાખવું જ પડશે. આગામી બે અઠવાડિયામાં FSSAI દ્વારા રજૂ થનારું અંતિમ માળખું ભારતીય ફૂડ માર્કેટની દિશા બદલી શકે છે અને કરોડો લોકોના સ્વાસ્થ્યને સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.
નેપાળ જળપ્રલયમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓની ઓળખ કરશે ભારત, ગુજરાત સ્થિત NFSU ના DNA એક્સપર્ટની ટીમ પહોંચી નેપાળ