
પશ્ચિમ બંગાળ વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર, ભૂતપૂર્વ મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અગ્રણીઆશિષ બેનર્જીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ રામપુરહાટમાં તેમના ઘરની નજીક સ્થિત પાર્ટી ઓફિસમાં લટકતો મળી આવ્યો હતો. આ સમાચારથી પશ્ચિમ બંગાળાના રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતદેહને કબજે કર્યો છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહની નજીક એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
બીરભૂમ પોલીસ આ આપઘાત મામલાની તપાસ કરી રહી છે. આશિષ બેનર્જી, મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. તેઓ બીરભૂમના રામપુરહાટના હટ્ટલપારા (વોર્ડ નંબર 5) માં રહેતા હતા. પાર્ટી ઓફિસ તેમના ઘરની બાજુમાં જ આવેલું છે. આજે સવારે તેમનો મૃતદેહ ત્યાં લટકતો મળી આવ્યો હતો. આશિષ બેનર્જીના આપઘાતના સમાચાર વહેતા થતા જ રામપુરહાટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકો વહેલી સવારથી જ ત્યાં ભેગા થઈ ગયા હતા.
જોકે, કોઈને પણ રામપુરહાટના હટ્ટલપારાની ટીએમસી કાર્યાલયમાં પ્રવેશવાની મંજૂરી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામપુરહાટ મેડિકલ કોલેજમાં મોકલી દીધો છે. મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ તે નક્કી થશે. રામપુરહાટ પોલીસ તપાસ કરી રહી છે.
આશિષ બેનર્જી પાંચ વખત રામપુરહાટ મતવિસ્તારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી, તેમણે શાળા શિક્ષણ, કૃષિ અને આયુષ મંત્રી તરીકે સેવા આપતા અનેક મંત્રી પદ સંભાળ્યા હતા. 2021ની ચૂંટણી બાદ, મમતા બેનર્જી સરકારે તેમને ડેપ્યુટી સ્પીકર તરીકે નિયુક્ત કર્યા. તેમણે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર રામપુરહાટથી 2026ની વિધાનસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ ચૂંટણી હારી ગયા હતા.
ભાજપના ઉમેદવાર ધ્રુવ સાહાએ તેમને કારમી હાર આપી. જિલ્લા રાજકારણમાં તેમને અનુબ્રત મંડલના નજીકના સાથી માનવામાં આવતા હતા. રાજ્યમાં રાજકીય પરિવર્તન બાદ, તેમણે જૂનમાં રામપુરહાટ જિલ્લા તૃણમૂલ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે બીરભૂમ તૃણમૂલ કોર કમિટીમાંથી પણ રાજીનામું આપ્યું હતું.