
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની કાવેરી હોસ્ટેલમાં રવિવારે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (JNUSU) એ આરોપ લગાવ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યોએ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં માંસાહારી ખોરાક લેતા અટકાવ્યા અને હિંસક વાતાવરણ ઊભું કર્યું, જ્યારે ABVP એ આરોપને નકારી કાઢ્યો અને દાવો કર્યો કે, ડાબેરી સંગઠનના વિદ્યાર્થીઓએ રામનવમીના તહેવાર નિમિત્તે હોસ્ટેલમાં આયોજિત પૂજા કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો. બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો અને તેમના માણસોને ઇજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ પશ્ચિમ) મનોજ સીએ પીટીઆઈને જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ છે. અત્યાર સુધી કોઈ હિંસા થઈ નથી. એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે પુરું થઈ ગયું છે. અમે બધા અમારી ટીમ સાથે અહીં તૈનાત છીએ. અમે યુનિવર્સિટીની વિનંતી પર અહીં આવ્યા છીએ. અમે શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ઘટનાની વિગતો પછીથી શેર કરવામાં આવશે.
જોકે, એબીવીપીએ JNUSU ના આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે ડાબેરીઓએ રામનવમીના અવસરે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત પૂજા અને હવનમાં વિક્ષેપ પાડ્યો હતો. રામનવમીના શુભ અવસરે બપોરે 3.30 કલાકે કેટલાક સામાન્ય વિદ્યાર્થીઓએ કાવેરી છાત્રાલયમાં પૂજા અને હવન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.