
સોમવારે સાંજે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક જોરદાર વિસ્ફોટ થયો, જેમાં 9 લોકોનાં મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. આ વિસ્ફોટ એક ઈકો વાન પાસે થયો હતો, જેના કારણે નજીકના વાહનો અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું. NIA અને દિલ્હી પોલીસની ટીમો હાલ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે. શંકા છે કે આ વિસ્ફોટ તાજેતરના જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદના IED કિસ્સાઓ સાથે જોડાયેલો હોઈ શકે છે.
વિસ્ફોટ સાંજે 6:52 વાગ્યે થયો હતો. ઘટનાની તીવ્રતા એવી હતી કે આસપાસની જગ્યા હચમચી ઉઠી. LNJP હોસ્પિટલમાં ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓ આ ઘટનાને આતંકવાદી હુમલાની સંભાવના તરીકે લઈ રહી છે, જેમાં i20 કારમાં વિસ્ફોટકો લગાવવામાં આવ્યા હતા.
ઘટનાના તરત પછી અનેક વીડિયો સામે આવ્યા, જેમાં વિસ્ફોટને લાઈવ કેદ કરવામાં આવ્યું હતું. એક યુટ્યુબર દીપકે આ ઘટના રેકોર્ડ કરી હતી, જે સમયે તે વ્લોગિંગ કરી રહ્યો હતો. “અચાનક એક જોરદાર અવાજ આવ્યો, લોકો હચમચી ગયા અને ભૂચાળના પ્રતિક્રિયાથી ભાગવા લાગ્યા,” તેવું દીપકે જણાવ્યુ..
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીક પાર્ક કરેલા પાંચથી છ વાહનો ચકનાચૂર થઈ ગયા. આસપાસની દુકાનો અને વાહનોને પણ ભારે નુકસાન થયું. પોલીસની પ્રારંભિક તપાસમાં આ વિસ્ફોટ ઉચ્ચ-તીવ્રતાનો હોવાનું નોંધાયું છે.
વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો. NIA, સ્પેશિયલ સેલ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ને નમૂનાઓ એકત્રિત કર્યા. પોલીસ કમિશનર સતીશ ગોલચાએ જાતે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. આ મામલે ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દર મિનિટે જાણ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઘટનાના થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 2,900 કિલો IED બનાવવાના રસાયણો, શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યા હતા. આ કામગીરી જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) સાથે જોડાયેલા આંતરરાજ્ય આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે કરવામાં આવી હતી. હાલમાં એજન્સીઓ આ બાબતે ચિંતિત છે અને શંકા છે કે આ જપ્ત કરાયેલા રસાયણો દિલ્હીમાં આ વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવ્યા હતા.
Published On - 8:47 am, Tue, 11 November 25