રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) રાજપથનું (Rajpath) નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે કર્તવ્યપથથી ઓળખાશે. NDMCએ નામ બદલવાનો ઠરાવ પસાર કર્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, આઝાદી પછી અમે સંસ્થાનવાદી માનસિકતાને આગળ ધપાવી. રાજપથ કહે છે કે તમે ‘રાજ’ માટે આવ્યા છો. પીએમએ કહ્યું કે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે અને આપણે સામ્રાજ્યવાદી નીતિઓ, પ્રતીકોનો અંત લાવવો પડશે. આથી રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે.
મોદી સરકારે સોમવારે રાજપથનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. નેતાજીની પ્રતિમાંથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો ‘કર્તવ્યપથ; તરીકે ઓળખાશે. રાજપથની સાથે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ પણ બદલવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કરશે. આજે એટલે કે 7 સપ્ટેમ્બરે NDMCની મહત્વની બેઠક મળી હતી જેમાં મોદી સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.
ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર માર્ગ અને વિસ્તાર કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. રાજપથને અંગ્રેજોના સમયમાં કિંગ્સવે કહેવામાં આવતું હતું. વડાપ્રધાન મોદીએ આ વર્ષે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સંસ્થાનવાદી વિચારસરણી દર્શાવતા પ્રતીકોને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને આગામી 25 વર્ષમાં 2047 સુધી તમામ લોકો તેમની ફરજો નિભાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે અને આ ભાવનાને કર્તવ્યપથ નામમાં જોઈ શકાય છે.
મોદી સરકારે આ પહેલા પણ ઘણા રસ્તાઓના નામ બદલીને જન કેન્દ્રીત નામ રાખ્યાં છે. વર્ષ 2015માં રેસકોર્સ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું, જ્યાં વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. વર્ષ 2015માં ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં ડેલહાઉસી રોડનું નામ બદલીને દારાશિકોહ રોડ કરવામાં આવ્યું હતું. અકબર રોડનું નામ બદલવા માટે પણ અનેક પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ હજુ સુધી અકબર રોડનુ નામ બદલવા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.