મેધા પાટકરને 5 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની સાકેત કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં આ સજા સંભળાવવામાં આવી છે. મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જાહેર કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.
કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે. આ તેની બદનામીની ભરપાઈ માટે હશે. મહત્વનું છે કે, કોર્ટના નિર્ણય બાદ મેધા પાટકરની પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું, ‘સત્યને ક્યારેય હરાવી શકાતું નથી. અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર કામ કરીએ છીએ. અમે આ નિર્ણયને ઉપરી અદાલતમાં પડકારીશું.
મેધા પાટકર ‘નર્મદા બચાવો આંદોલન’ સાથે સંકળાયેલા છે. આ પહેલા કોર્ટે 7 જૂને થયેલી સુનાવણીમાં મેધા પાટકરને દોષિત જાહેર કરી હતી અને સજા માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી હતી.
અગાઉ, કોર્ટે કહ્યું હતું કે સક્સેનાને ‘દેશભક્ત નહીં પરંતુ કાયર’ ગણાવતા પાટકરનું નિવેદન અને હવાલા વ્યવહારમાં તેમની સંડોવણીનો આરોપ માત્ર બદનક્ષી સમાન નથી, પરંતુ તે નકારાત્મક ધારણાને ઉશ્કેરવા માટે રચાયેલ છે.’
પાટકર અને સક્સેના 2000 થી કાનૂની લડાઈમાં છે, જ્યારે પાટકરે સક્સેના વિરુદ્ધ તેમની અને નર્મદા બચાવો આંદોલન (NBA) વિરુદ્ધ જાહેરાતો પ્રકાશિત કરવા બદલ દાવો દાખલ કર્યો હતો. સક્સેનાએ એક ટીવી ચેનલ પર તેમની (સક્સેના) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા અને પ્રેસને બદનક્ષીભર્યા નિવેદનો આપવા બદલ પાટકર વિરુદ્ધ બે કેસ પણ કર્યા હતા. આ રીતે 23 વર્ષ બાદ મેધા પાટકર વિરુદ્ધ ચુકાદો આવ્યો છે.