કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) રવિવારે કહ્યું કે કોવિડ-19 સામે ભારતનું રસીકરણ અભિયાન (vaccination campaign) વિશ્વના સૌથી સફળ અને સૌથી મોટા રસીકરણ કાર્યક્રમોમાંનું એક છે. તેની સાથે જ તેમણે કેટલાક મીડિયા અહેવાલોને ભ્રામક ગણાવ્યા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશ તેના રસીકરણના લક્ષ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો છે.
ગયા વર્ષે 16 જાન્યુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય COVID-19 રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ પાત્ર નાગરિકોને પ્રથમ ડોઝ અને 65 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું ‘એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી દ્વારા પ્રકાશિત તાજેતરના સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત તેના રસીકરણના લક્ષ્યને પૂર્ણ કરવામાં સક્ષમ નથી. આ માહિતી ભ્રામક છે અને સાચું ચિત્ર રજૂ કરતી નથી. નિવેદન અનુસાર વૈશ્વિક રોગચાળા સામેની લડાઈમાં ભારતનો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ ઘણા વિકસિત અને પશ્ચિમી દેશોની સરખામણીમાં સૌથી સફળ અને સૌથી મોટા રસીકરણ અભિયાનોમાંનું એક રહ્યું છે.
મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી રસીકરણ અભિયાનમાં દેશે ઘણા એવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે, જેની દુનિયામાં કોઈ મિસાલ નથી. તેમાં નવ મહિનાથી ઓછા સમયમાં 100 કરોડથી વધુ ડોઝ, એક દિવસમાં 2.51 કરોડ ડોઝ અને એક દિવસમાં અનેક વખત 10 કરોડ ડોઝ આપવાનો સમાવેશ થાય છે. અન્ય વિકસિત દેશોની તુલનામાં ભારતમાં તેણે 93.7 કરોડ પાત્રતા ધરાવતા પુખ્ત નાગરિકોને રસી આપીને સારું પ્રદર્શન કર્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે લાયક વસ્તી માટે પ્રથમ ડોઝના સંદર્ભમાં યુએસએ તેની વસ્તીના માત્ર 73.2 ટકા, યુકે 75.9 ટકા, ફ્રાન્સ 78.3 ટકા અને સ્પેન 84.7 ટકા આવરી લે છે. ભારતે તેની લાયક વસ્તીના 90 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ આપી દીધો છે. એ જ રીતે યુએસએ તેની વસ્તીના 61.5 ટકાને બીજો ડોઝ આપ્યો છે, જ્યારે યુકેએ 69.5 ટકા, ફ્રાન્સે 73.2 ટકા અને સ્પેન 81 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે તેવુ મંત્રાલયે જણાવ્યું હતું.
ભારતમાં 65 ટકાથી વધુ પાત્રતા ધરાવતી વસ્તીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. નિવેદન અનુસાર 11 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પહેલાથી જ 100 ટકા પ્રથમ ડોઝ રસીકરણ પ્રાપ્ત કરી ચૂક્યા છે, જ્યારે ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 100 ટકા સંપૂર્ણ રસીકરણ પ્રાપ્ત કર્યું છે. આ સિવાય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ટૂંક સમયમાં 100 ટકા રસીકરણ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Coronavirus in Delhi: દિલ્હીમાં કોરોના વાયરસના 3194 નવા કેસ, પોઝિટીવીટી રેટ 4.59 ટકા પર પહોંચ્યો
આ પણ વાંચો: કેન્દ્ર સરકાર સર્તક: ઓમિક્રોનના વધતા સંક્રમણને પગલે યોજાઈ સમીક્ષા બેઠક, માંડવિયાએ રાજ્યોને આપ્યા આ આદેશ