ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 239ને વટાવી ગયો છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. શુક્રવારે સાંજે, કોરોમંડલ એક્સપ્રેસ પહેલા પાટા પરથી ઉતરી ગઈ અને પછી માલસામાન ટ્રેનના એન્જિન પર ચઢી ગઈ. આ પછી હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ તેની બોગી સાથે અથડાઈ હતી.
પીએમઓએ જાહેરાત કરી છે કે ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. આ સિવાય રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેલ અકસ્માતના કેસોમાં વળતર અંગે સુધારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :Odisha Train Accident: દુ:ખની ઘડીએ ઓડિશા વાસિયોએ માનવતા મહેકાવી, રક્તદાન માટે હોસ્પિટલોમાં લગાવી લાંબી કતારો
રેલવે એક્સિડન્ટ્સ એન્ડ એક્સિડન્ટ્સ (કમ્પેન્સેશન) એમેન્ડમેન્ટ રૂલ્સ કહે છે કે આનાથી સંબંધિત ઘણા કેસમાં વળતરની પ્રારંભિક રકમ 4 લાખ રૂપિયાથી વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવી છે. જાણો, રેલ અકસ્માતના અલગ-અલગ કેસમાં રેલવે દ્વારા કેટલું વળતર આપવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિની આંખોની રોશની ઘટી ગઈ હોય અથવા તેની સાંભળવાની ક્ષમતા ગુમાવી હોય તો તેને 8 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. બીજી તરફ ચહેરો ઇજાગ્રસ્ત થયો હોય તો પણ વળતર તરીકે એટલી જ રકમ આપવામાં આવે છે. આ સિવાય ઈજાની ગંભીરતાના આધારે ઘાયલ મુસાફરને 32,000 રૂપિયાથી લઈને 8 લાખ રૂપિયા સુધીની વળતરની રકમ આપવામાં આવે છે.
રેલ્વે અધિનિયમ, 1989ના પ્રકરણ 13માં જણાવવામાં આવ્યું છે કે અકસ્માતને કારણે મુસાફરના મૃત્યુ અને ગંભીર શારીરિક નુકસાનના કિસ્સામાં રેલ્વે વિભાગ જવાબદાર છે. જ્યારે ટ્રેનમાં કામ કરતી વખતે અકસ્માત થાય, મુસાફરોને લઈ જતી ટ્રેનો વચ્ચે અથડામણ થાય અથવા મુસાફરોને લઈ જતી ટ્રેન પાટા પરથી ઉતરી જાય ત્યારે ઈજાગ્રસ્તોને વળતર આપવામાં આવશે.
આત્મહત્યાનો પ્રયાસ, આત્મહત્યાની ઇજા, ગેરકાયદેસર કૃત્યને કારણે થયેલી ઇજા, અસ્વસ્થ મનથી કોઇપણ કૃત્ય કરવાથી પોતાને નુકસાન થાય તેવા કિસ્સામાં વળતર આપવામાં આવશે નહીં.