Breaking News : નવા વર્ષની મોટી ભેટ, 1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો

નવા વર્ષની શરૂઆત સાથે જ ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. 1 જાન્યુઆરી, 2026થી CNG અને PNGના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે કરોડો ગ્રાહકોને સીધો લાભ મળશે.

Breaking News : નવા વર્ષની મોટી ભેટ, 1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો
| Updated on: Dec 17, 2025 | 4:22 PM

ભારતભરમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને ડોમેસ્ટિક પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) વાપરતા ગ્રાહકો માટે આ રાહત મહત્વની સાબિત થશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવનારા ટેરિફ રેશનાલાઇઝેશનની જાહેરાત કરવામાં આવી છે.

PNGRBના સભ્ય એ.કે. તિવારીએ એક વિશેષ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નવા યુનિટ ટેરિફ માળખાના અમલીકરણથી રાજ્ય અને લાગુ કરના આધારે પ્રતિ યુનિટ 2 થી 3 સુધીની બચત થશે. આ પગલું ગેસના ભાવને વધુ તર્કસંગત અને ગ્રાહકમિત્ર બનાવવા માટે લેવામાં આવ્યું છે.

નવું યુનિફાઇડ ટેરિફ માળખું

PNGRB ટેરિફ સિસ્ટમને સરળ બનાવવા માટે ઝોનની સંખ્યા ત્રણમાંથી ઘટાડીને બે કરી છે. 2023માં અમલમાં આવેલી જૂની સિસ્ટમમાં અંતરના આધારે ત્રણ ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 200 કિલોમીટર સુધી 42, 300 થી 1,200 કિલોમીટર સુધી 80 અને 1,200 કિલોમીટરથી વધુ અંતર માટે 107 ટેરિફ લાગુ પડતો હતો.

એ.કે. તિવારીએ સમજાવ્યું કે હવે ત્રણના બદલે માત્ર બે ઝોન રહેશે. ઝોન-1 સમગ્ર ભારતમાં CNG અને ઘરેલું PNG ગ્રાહકો માટે લાગુ પડશે. ઝોન-1 માટે એકીકૃત ટેરિફ હવે 54 નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉ 80 અને 107 જેટલો ઊંચો હતો.

આ ગ્રાહકોને મળશે સીધો લાભ

નવા ટેરિફ માળખાનો લાભ દેશમાં કાર્યરત 40 શહેર ગેસ વિતરણ (CGD) કંપનીઓ દ્વારા આવરી લેવાયેલા 312 ભૌગોલિક વિસ્તારોના ગ્રાહકોને મળશે. CNGનો ઉપયોગ કરતા વાહનચાલકો અને રસોઈ માટે PNG વાપરતા ઘરેલુ ગ્રાહકોને ખાસ રાહત મળશે.

PNGRB સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ટેરિફમાં થયેલા ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે અને તેની નિયમિત દેખરેખ રાખવામાં આવશે. બોર્ડનું લક્ષ્ય ગ્રાહકો અને ગેસ વિતરણ કંપનીઓ બંનેના હિત વચ્ચે સંતુલન જાળવવાનું છે.

ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ

CNG અને PNG ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અંગે PNGRB જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU), ખાનગી કંપનીઓ અને સંયુક્ત સાહસોને સમગ્ર દેશ માટે લાઇસન્સ આપવામાં આવ્યા છે. બોર્ડ CGD કંપનીઓને રાજ્ય સરકારો સાથે સંકલન કરવામાં પણ મદદ કરી રહ્યું છે.

પ્રયાસોના પરિણામે ઘણા રાજ્યોમાં VAT ઘટાડવામાં આવ્યો છે અને મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. PNGRB માત્ર નિયમનકાર તરીકે નહીં પરંતુ સુવિધા આપનાર તરીકે પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

સરકારની આ પહેલથી CNG અને ઘરેલું PNG વધુ સસ્તું અને સુલભ બનશે, જેના કારણે દેશમાં કુદરતી ગેસના વપરાશમાં વધારો થવાની આશા છે. CGD ક્ષેત્રને ભારતમાં કુદરતી ગેસના ઉપયોગને આગળ ધપાવતું મુખ્ય ક્ષેત્ર માનવામાં આવે છે.