Chandrayaan 3: ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરે ચંદ્રની સપાટીનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે. 23 ઓગસ્ટે ચંદ્રયાનના લેન્ડિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા હતા. પરંતુ, પીએમ મોદીએ ત્યાંથી લાઈવ જોડાઈને ભારતનું ચંદ્ર મિશન જોયું અને તેની સફળતા માટે ઈસરો અને તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા.
ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઉતરશે. અહીં ISROનું મુખ્યાલય છે. તેમના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તરત જ એટલે કે 26 ઓગસ્ટે સવારે લગભગ 7 વાગ્યે પીએમ સીધા જ ઈસરોના હેડક્વાર્ટર પહોંચશે, જ્યાં તેઓ ચંદ્રયાન-3ની આખી ટીમને મળશે.
આ પણ વાંચો: સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ મંત્રાલયે 7800 કરોડની ખરીદીને આપી મંજૂરી
બેંગલુરુમાં પીએમ મોદીના આગમન પર કર્ણાટક બીજેપી પણ એક નાનો રોડ શો યોજવાની તૈયારી કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ પીએમ દિલ્હી જવા રવાના થશે. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
PM મોદી 26 ઓગસ્ટે સવારે લગભગ 11.30 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પહોંચશે. ત્યાં બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ તેમનું સ્વાગત કરવા પહોંચશે. પીએમને આવકારવા માટે ઢોલ-નગારા સાથે સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી બીજેપીના 10,000થી વધુ કાર્યકર્તા પીએમને રિસીવ કરવા એરપોર્ટ પર પહોંચશે.