
વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કોઈ પણ તથ્ય જાણી જોઈને છુપાવવા બદલ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. વસ્તી ગણતરી અધિનિયમ 1948ની કલમ 11 મુજબ, જો કોઈ વ્યક્તિ માહિતી છુપાવતા પકડાશે તો તેને 1000 રૂપિયાનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ કાયદો માત્ર જનતા માટે જ નહીં, પણ જો કોઈ ગણતરી કરનાર કર્મચારી (પ્રગણક) વિગતો બહાર જાહેર કરશે તો તેના માટે પણ સજાની જોગવાઈ છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વસ્તી ગણતરી કરનારા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને ભૌતિક ચકાસણી કરશે. જો કોઈ મોટું મકાન હોવા છતાં રૂમની સંખ્યા ઓછી બતાવશે તો તેની તપાસ થશે. એટલું જ નહીં, જો કોઈના ઘરે વધુ કાર હોય અને તે ઓછી હોવાનું જણાવશે તો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ (HSNP) જેવા માધ્યમો દ્વારા પણ તેની ખરાઈ કરવામાં આવશે.
જિલ્લા વસ્તી ગણતરી અધિકારીના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરીમાં જંગમ કે સ્થાવર મિલકત છુપાવવાની જરૂર નથી કારણ કે આ માહિતીનો આવકવેરા (Income Tax) કે અન્ય સુવિધાઓ સાથે કોઈ સીધો સંબંધ નથી. આ માત્ર દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ જાણવા માટેની પ્રક્રિયા છે.
વસ્તી ગણતરીની આ કામગીરી પૂરી સ્ટડી સાથે તૈયાર કરવામાં આવી છે જેથી દેશના દરેક પરિવારની સચોટ માહિતી સરકાર સુધી પહોંચી શકે.