Budgam Terrorists Attack: આતંકવાદીઓના નિશાના પર કાશ્મીરી પંડિત, ઓફિસમાં ઘૂસીને રાહુલ ભટ્ટની કરી હત્યા

ગુરુવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં (Budgam District) આતંકવાદીઓએ એક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી. જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ ભાગોમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Budgam Terrorists Attack: આતંકવાદીઓના નિશાના પર કાશ્મીરી પંડિત, ઓફિસમાં ઘૂસીને રાહુલ ભટ્ટની કરી હત્યા
Security Forces
Image Credit source: PTI
| Edited By: | Updated on: May 12, 2022 | 7:59 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ તેમની નાપાક ષડયંત્રો કરવામાંથી ઉંચા આવી રહ્યા નથી. તે સતત સામાન્ય માણસને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન, ગુરુવારે બડગામ જિલ્લાના (Budgam District) ચદૂરા તહસીલ કાર્યાલય પાસે ગોળીબારની ઘટના સામે આવી છે, જ્યાં આતંકવાદીઓએ તહસીલદાર કચેરીમાં કર્મચારી રાહુલ ભટ્ટ (કાશ્મીરી પંડિત) પર ગોળીબાર કર્યો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ ભાગોમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓને પકડવામાં આવી રહ્યા છે. આ કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા નાપાક ષડયંત્રો કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં હાલમાં 168 આતંકીઓ એક્ટિવ છે

જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 168 આતંકવાદીઓ એક્ટિવ છે જ્યારે આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 21 વિદેશી હતા. તેમણે કહ્યું કે છેલ્લા 11 મહિનામાં, નિયંત્રણ રેખા (એલઓસી) પર એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને ઘૂસણખોરીના 12 પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે વર્ષ 2021માં સુરક્ષા દળોએ 180 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જેમાંથી 18 વિદેશી હતા. અધિકારીએ કહ્યું કે ગુપ્તચર નેટવર્ક સાથેના સંકલન અને સામાન્ય લોકોના સમર્થનને કારણે આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે 495 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (આતંકવાદી સંગઠનો માટે કામ કરતા) પકડાયા હતા, જ્યારે આ વર્ષના પહેલા ચાર મહિનામાં આવા માત્ર 87 લોકો જ પકડાયા છે.

જમ્મુ-કાશ્મીરમાં ભૂતકાળમાં ઘણી આતંકવાદી ઘટનાઓ બની છે

તમને જણાવી દઈએ કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા જ્યારે એક સૈનિક સહિત અન્ય બે ઘાયલ થયા હતા. બાંદીપોરામાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. તેના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. સોમવારે, જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે નાગરિકો ઘાયલ થયા હતા.

આ સિવાય અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. શ્રીનગરના બેમિનામાંથી પોલીસે લશ્કરના 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આતંકીઓ પાસેથી 4 પિસ્તોલ સહિત અનેક હથિયારો મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.