બિહારની રાજનીતિમાં હવે નવી સરકારના રચનાને લઈને ચિત્ર લગભગ સ્પષ્ટ બની ગયું છે. સમ્રાટ ચૌધરીને રાજ્યના નવા CM તરીકે પસંદગી મળી ગઈ છે. બીજી તરફ, નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારને Dy CM તરીકે મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
નવા મુખ્યમંત્રીની શપથવિધિ
આવતીકાલે એટલે કે 15 એપ્રિલે સવારે 11 વાગ્યે લોકભવન ખાતે શપથવિધિ સમારોહ યોજાશે, જેમાં મુખ્યમંત્રી સાથે બે ઉપમુખમંત્રી પણ શપથ લેશે. ઉપમુખમંત્રી પદ માટે નિશાંત કુમાર અને વિજય ચૌધરીના નામ પર લગભગ સહમતિ બની ગઈ હોવાનું માનવામાં આવે છે.
શપથવિધિની તૈયારીઓને લઈને રાજ્યપાલના સચિવે સોમવારે સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી, જેમાં સમારોહમાં હાજરી આપનારા મહાનુભાવો અને આયોજનની વિગતો સામેલ હતી. ઉપરાંત, સમ્રાટ ચૌધરીએ સંભવિત મંત્રિમંડળ અંગે પણ રાજ્યપાલના સચિવ સાથે વિચારવિમર્શ કર્યો હતો.
સમ્રાટ ચૌધરી વિશે જાણો…
સમ્રાટ ચૌધરીનો જન્મ 16 નવેમ્બર 1968ના રોજ થયો હતો. તેઓ મમતા કુમારી સાથે વૈવાહિક જીવન જીવી રહ્યા છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. તેમના પિતા શકુની ચૌધરી બિહારના જાણીતા સમાજવાદી નેતા રહ્યા છે, જ્યારે માતાનું નામ પાર્વતી દેવી છે. શકુની ચૌધરીએ રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું હતું અને એક સમયે તેઓ લાલુ પ્રસાદ યાદવના નજીકના સહયોગી માનવામાં આવતા. પછી સમય જતા તેમણે પોતાની રાજકીય દિશામાં ફેરફાર કરીને નીતીશ કુમાર સાથે જોડાયા.
સમ્રાટ ચૌધરીને રાજકારણનો વારસો તેમના પરિવારથી મળ્યો છે. બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણ મળ્યું હતું, જેના કારણે તેમણે વહેલી વયે જ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે પોતાના પિતાની માર્ગદર્શન હેઠળ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. ખાસ વાત એ છે કે આજે તેઓ જે આરજેડી અને તેના નેતાઓનો વિરોધ કરે છે, એ જ પક્ષ સાથે તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી.
બિહારના 24મા મુખ્યમંત્રી
સમ્રાટ ચૌધરી હવે બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે. તેઓ એવા થોડાક નેતાઓમાં સામેલ થયા છે જેમણે પહેલા ઉપમુખમંત્રી તરીકે સેવા આપી અને ત્યારબાદ મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા. બિહારના ઇતિહાસમાં આ પ્રકારનો સિદ્ધિ મેળવવામાં તેઓ બીજા નેતા બન્યા છે.
આ પહેલા માત્ર કર્પૂરી ઠાકુરે જ આવી સિદ્ધિ હાંસલ કરી હતી. બાકીના ઘણા જાણીતા નેતાઓ જેમ કે સુશીલ કુમાર મોદી, તાર કિશોર પ્રસાદ, વિજય કુમાર સિંહા અને તેજસ્વી યાદવ જેવા નામો આ રેકોર્ડ સુધી પહોંચી શક્યા નથી. સમ્રાટ ચૌધરીએ હવે આ વિશેષ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
રાજકીય સફર
સમ્રાટ ચૌધરીએ પોતાના રાજકીય જીવનની શરૂઆત રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે કરી હતી. ત્યારબાદ તેઓ જનતા દળ યુનાઇટેડ (JDU)માં જોડાયા અને અલગ-અલગ જવાબદારીઓ સંભાળી. વર્ષ 2014માં, જ્યારે નીતીશ કુમારે ને મુખ્યમંત્રી બનાવ્યા હતા, ત્યારે સમ્રાટ ચૌધરી તેમની કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
પછી તેમણે JDU છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં પ્રવેશ કર્યો, જ્યાં તેમણે પોતાની રાજકીય ઓળખ વધુ મજબૂત બનાવી. આજે તેઓ બિહારની રાજનીતિમાં મહત્વપૂર્ણ નેતા તરીકે ઉભરી આવ્યા છે અને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે.