બિહાર માટે ભાજપનો પ્લાન તૈયાર, અમિત શાહે નક્કી કર્યો લોકસભાની 40માંથી 35 બેઠક જીતવાનો લક્ષ્યાંક

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપ મુખ્યાલયમાં લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં પાર્ટીના બિહાર એકમના અગ્રણી નેતાઓ સાથે રાજ્યની તાજેતરની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યના તમામ નેતાઓએ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

બિહાર માટે ભાજપનો પ્લાન તૈયાર, અમિત શાહે નક્કી કર્યો લોકસભાની 40માંથી 35 બેઠક જીતવાનો લક્ષ્યાંક
BJP National President JP Nadda and Union Home Minister Amit Shah
| Edited By: | Updated on: Aug 17, 2022 | 7:13 AM

નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી મહાગઠબંધન સરકારના મંત્રીઓના શપથ ગ્રહણ સાથે, ભાજપ બિહારમાં (Bihar) 35 લોકસભા બેઠકો પર એકલા હાથે જીત મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. JD(U) સાથે ગઠબંધન તોડીને મુખ્ય વિપક્ષી દળની નવી ભૂમિકા નિભાવ્યા બાદ કેન્દ્રીય નેતૃત્વ સાથે બિહાર ભાજપના કોર ગ્રુપની પ્રથમ બેઠકમાં લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) ભાજપ મુખ્યાલયમાં લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં પાર્ટીના બિહાર એકમના અગ્રણી નેતાઓ સાથે રાજ્યની તાજેતરની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યના તમામ નેતાઓએ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે ભાજપ વિધાનસભાના વિરોધપક્ષના નેતાની સાથે બેઠકમાં આગામી પ્રદેશ પ્રમુખના નામો નક્કી કરવામાં આવશે, કારણ કે વર્તમાન પ્રદેશ ભાજપ પ્રમુખ સંજય જયસ્વાલનો કાર્યકાળ આવતા મહિને પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ આ બે હોદ્દા માટે સંભવિત નામો અંગે બેઠકમાં ચર્ચા થઈ ન હતી. આ બેઠકમાં બિહારની રાજકીય સ્થિતિ અને નીતિશ કુમારે ભાજપથી અલગ થયા બાદ અને તેજસ્વી યાદવ સાથે હાથ મિલાવ્યા પછીના નવા પડકારો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

નીતીશ પર આરસીપી સિંહ વિશે ખોટું બોલવાનો આરોપ

ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નેતૃત્વએ બિહારના બીજેપી નેતાઓને સ્પષ્ટ કર્યું છે કે નીતિશ કુમાર આરસીપી સિંહ વિશે ખોટું બોલી રહ્યા છે. સિંહને નીતિશ કુમારની ઈચ્છાથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેડી(યુ)ને તોડવા માટે ભાજપે આરસીપી સિંહનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ પણ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. નીતિશ કુમાર અન્ય રાજકીય કારણોસર ભાજપ છોડીને આરજેડી સાથે જોડાયા છે.

નવા રાજકીય પડકારોનો સ્વીકાર

કેન્દ્રીય નેતૃત્વએ એ પણ સ્પષ્ટ કર્યું કે કારણ ગમે તે હોય, ભાજપ નવા રાજકીય પડકારોને સંપૂર્ણપણે સ્વીકારે છે. પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં JDU-RJDની આગેવાની હેઠળના મહાગઠબંધનને એકલા હાથે જવાબ આપશે. કેન્દ્રીય નેતૃત્વએ રાજ્યના નેતાઓની સામે પોતાના દમ પર લોકસભામાં 35થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 2019માં એનડીએના ખાતામાં 39 લોકસભા બેઠકો હતી, જેમાંથી એકલા ભાજપને 17 બેઠકો મળી હતી. વર્ષ 2014 માં, JD(U) તેની સાથે નહોતું, છતા એકલાહાથે ભાજપને 22 અને NDAને 31 બેઠકો મળી હતી. બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે.

આ પણ વાંચોઃ
એરટેલની 5G સ્પેક્ટ્રમની ખરીદી કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થશે