
G20 Summit: દિલ્હીમાં ચાલી રહેલી G20 મીટિંગ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં થઈ હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: G20 Summit: આવનારી પેઢી આ નિર્ણયને યાદ રાખશે G20 સમિટમાં ઇકોનોમિક કોરિડોરની જાહેરાત પર જો બાઇડન બોલ્યા
બ્રિટિશ વડા પ્રધાન સાથેની દ્વિપક્ષીય મુલાકાત પછી પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, દિલ્હીમાં G20 સમિટના અવસર પર ઋષિ સુનકને મળવું ખૂબ જ સારું લાગ્યું. અમે વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા અને રોકાણને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી છે. ભારત અને બ્રિટન એક સમૃદ્ધ અને સસ્ટેનેબલ પ્લેનેટ્સ માટે કામ કરવાનું ચાલુ રાખશે.
અગાઉ, બંને દેશોના નેતાઓ મે મહિનામાં હિરોશિમામાં G7 સમિટમાં મળ્યા હતા, જેમાં ભારત-યુકે મુક્ત વેપાર કરાર, ઈનોવેશન અને સાઈન્સ તેમજ અન્ય ઘણા મુદ્દાઓ સહિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. જી-20 બેઠકમાં ભાગ લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન શુક્રવારે સાંજે ભારત પહોંચ્યા હતા. આ પછી, તેમણે શનિવારે G20ના પ્રથમ સત્રમાં ભાગ લીધો અને ત્યારબાદ તેમણે PM સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
મહત્વનું છે કે, બંને દેશો મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે આ વાતચીત 2022માં શરૂ થઈ હતી. બંને દેશો વચ્ચે વેપાર કરાર માટે આ વર્ષે 8 થી 31 ઓગસ્ટ વચ્ચે 12મા રાઉન્ડની વાતચીત થઈ હતી. સૂત્રોનું માનીએ તો બંને દેશો વચ્ચે અત્યાર સુધીની વાતચીત સારી દિશામાં આગળ વધી રહી છે.
તમને જણાવી દઈએ કે ભારત આ વખતે G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તેની તમામ બેઠકો દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવનિર્મિત ભારત મંડપમમાં થઈ રહી છે. શનિવારે પ્રથમ દિવસની બેઠક દરમિયાન, ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોરની જાહેરાત સહિત અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.