Amarnath Yatra: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મોટી દુર્ઘટના, બસ અને ડમ્પરની ટક્કરમાં 20 યાત્રીઓ ઘાયલ, 2 લોકોની હાલત ગંભીર

અમરનાથ ગુફાની પાસે 8 જુલાઈના રોજ વાદળ ફટવાથી અંદાજે 16 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો લાપતા થયા હતા. ત્યારબાદ રવિવારથી યાત્રા (Amarnath Yatra) રોકવામાં આવી છે.

Amarnath Yatra: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મોટી દુર્ઘટના, બસ અને ડમ્પરની ટક્કરમાં 20 યાત્રીઓ ઘાયલ, 2 લોકોની હાલત ગંભીર
Amarnath Yatra 2022
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jul 14, 2022 | 4:38 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામમાં ગુરુવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં અમરનાથ યાત્રા (Amarnath Yatra) પર જઈ રહેલા 20 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 2ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, હાલ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે 16 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. દરમિયાન, ખીણમાં અવિરત વરસાદ પછી ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, અમરનાથ યાત્રાને ગુરુવારે બંને માર્ગો પર રોકી દેવામાં આવી છે.

ઘાયલોને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કેન્દ્રશાસિત પ્રદેશના કુલગામ જિલ્લાના કાઝીગુંડ પાસે એક મોટી આઘાતજનક દુર્ઘટનામાં અમરનાથ યાત્રા પર ગયેલા 20 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. બદરાગુંડ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે અમરનાથ યાત્રીઓને લઈ જતી બસ એક ડમ્પર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 20 યાત્રીઓ ઘાયલ થયા છે, ઘાયલોમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જ્યારે 18 યાત્રીઓની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. ઘાયલોને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે.

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ફરી ખોરવાઈ

બીજી તરફ કાશ્મીર ખીણમાં વરસાદ બાદ ખરાબ હવામાનને કારણે ગુરુવારે અમરનાથ યાત્રાને બંને રૂટ પર રોકી દેવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં પવિત્ર યાત્રા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે અમરનાથ યાત્રાને સવારે પહેલગામ અને બાલતાલ રૂટ પરથી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે અને કોઈ પણ શ્રદ્ધાળુને પવિત્ર ગુફા મંદિર તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.

સતત વરસાદ વરસી રહ્યો

શ્રી અમરનાથ શાઈન બોર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, અમરનાથ યાત્રાના બંન્ને માર્ગો બાલટાલ અને પહલગામમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ભુસ્ખલન થવાની આશંકા છે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈ આ યાત્રા રોકવામાં આવી છે, બોર્ડના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુઓ માટે શિબિરમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે

8 જુલાઈના રોજ વાદળ ફાટવાની ધટના

ચુસ્ત સુરક્ષા વચ્ચે 6,415 યાત્રિકોનો 14મો જથ્થો દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટર ઉંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફાના દર્શન માટે રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ ગુફાની પાસે 8 જુલાઈના રોજ વાદળ ફટવાથી અંદાજે 16 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો લાપતા થયા હતા. ત્યારબાદ રવિવારથી યાત્રા રોકવામાં આવી છે.

જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી. જે અંતર્ગત આ 43 દિવસીય વાર્ષિક તીર્થયાત્રા માટે બે રૂટ પરથી લોકોની મુસાફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહલગામના નુનવાનથી 48 કિમીનો પરંપરાગત માર્ગ અને બીજો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિમી નાનો બાલટાલ માર્ગ છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ગુફા મંદિરમાં પૂજા કરી ચૂક્યા છે. આ યાત્રા 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થવાની છે.

Published On - 4:38 pm, Thu, 14 July 22