અલ કાયદાએ રામ મંદિર તોડી મસ્જિદ બનાવવાની આપી ધમકી, ગુજરાત વિશે પણ કહી આ વાત

અલકાયદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સામે પણ ઝેર ઓક્યું છે. આ સાથે જ ભારતીય મુસ્લિમોને પણ જેહાદને સમર્થન આપવાની અપીલ કરી છે.

અલ કાયદાએ રામ મંદિર તોડી મસ્જિદ બનાવવાની આપી ધમકી, ગુજરાત વિશે પણ કહી આ વાત
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jan 06, 2023 | 9:49 AM

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિર પણ આતંકવાદીઓના નિશાને છે. આતંકવાદીઓના મેગેઝિન ગઝવા-એ-હિંદમાં લેખ છાપવામાં આવ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય જેહાદી જૂથે પ્રતિજ્ઞા લીધી છે કે, અલ કાયદા રામ મંદિરને તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવશે. આ સિવાય જેહાદીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ઝેર ઓક્યું છે. આ સાથે જ ભારતીય મુસ્લિમોને પણ જેહાદને સમર્થન આપવાની અપીલ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, 110 પેજના લેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘બાબરી મસ્જિદના ઢાંચા પર જે રીતે રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેને તોડી પાડવામાં આવશે અને મૂર્તિઓની જગ્યાએ અલ્લાહના નામ પર બાબરી મસ્જિદ બનાવવામાં આવશે. આ કાર્ય માટે બલિદાન માંગે છે. એવું લાગે છે કે મેગેઝિન ભારતથી પરિચિત કોઈ વ્યક્તિએ લખી છે.

ભારતીય મુસ્લિમો માટે સેક્યુલર હોવુ નર્ક સમાન: અલ કાયદા

અલ કાયદાએ ભારતીય મુસ્લિમોને કહ્યું કે, તમારે જેહાદના કારણે થનાર ભૌતિક નુકસાનથી ડરવું જોઈએ નહીં, કારણ કે તેઓ પહેલાથી જ જીવન અને સંપત્તિનું નુકસાન સહન કરી ચૂક્યા છીએ. જો આ જાન-માલનો ઉપયોગ જેહાદ માટે કરવામાં આવ્યો હોત તો આટલું નુકસાન ન થયું હોત. આતંકવાદી સંગઠને ભારતીય મુસ્લિમો માટે સેક્યુલર હોવુ નર્ક સમાન ગણાવ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના સૂત્રો એક છેતરપિંડી છે.

હિંદુઓ છરી, ભાલા અને તલવારો હાથમાં લઈ રહ્યા છે: અલ કાયદા

અલ કાયદાએ કહ્યું કે, આ ફક્ત વાતો નથી. બાબરી મસ્જિદ 30 વર્ષ પહેલા ધ્વસ્થ કરવામાં આવી હતી. 20 વર્ષ પહેલા ગુજરાતના અમદાવાદમાં સગર્ભા મહિલાઓ અને તેમના બાળકોનું માથું કાપીને સળગાવી દેવામાં આવ્યું હતું અને આજે દેશમાં દરેક જગ્યાએ બુલડોઝર ચાલી રહ્યા છે. જામિયા મિલિયા (ઈસ્લામિયા) અને અલીગઢથી લઈને જામિયા ઉસ્માનિયા (હૈદરાબાદ ઉપનગર) અને દેવબંદ (શહેર) સુધી દરેક જગ્યાએ હિંદુઓ છરી, ભાલા અને તલવારો હાથમાં લઈ રહ્યા છે.

હિંદુઓને લાકડીઓનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે: અલ કાયદા

અલ કાયદાએ વધુમાં કહ્યું કે, તમામ હિંદુઓને લાકડીઓનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવી રહ્યું છે. હિંદુ મહિલાઓથી સાંભળવા મળ્યું છે કે, શાકભાજી કાપવા માટે વપરાતી છરી વડે મુસ્લિમોના ચહેરા અને માથા કાપી નાખવાની વાત કરવામાં આવે છે. અલ કાયદા સમગ્ર ભારતને ઇસ્લામની દુનિયાનો ભાગ બનાવવા માગે છે, જેથી ભારતમાં મૂર્તિપૂજા બંધ થઈ જાય.

Published On - 9:48 am, Fri, 6 January 23

Follow Us