એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 141 મુસાફરોના શ્વાસ અધ્ધર, હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતા ત્રિચી એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાનું વિમાન થોડા સમય પહેલા તમિલનાડુના ત્રિચી એરપોર્ટથી શારજાહ માટે ટેકઓફ થયું હતું. આ પછી, એરક્રાફ્ટની હાઇડ્રોલિક સિસ્ટમમાં તકનીકી ખામી સર્જાઈ હતી. જેના પગલે, એર ઈન્ડિયાના વિમાનને ત્રિચી એરપોર્ટ પર જ સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં 141 મુસાફરો સવાર હતા.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 141 મુસાફરોના શ્વાસ અધ્ધર, હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતા ત્રિચી એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
| Edited By: | Updated on: Oct 11, 2024 | 8:57 PM

તમિલનાડુના ત્રિચીથી શારજાહ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ટેકનિકલ સમસ્યા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન લાંબા સમય સુધી આકાશમાં ચક્કર લગાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેનના લેન્ડિંગ ગિયરમાં થોડી સમસ્યા સર્જાઈ હતી, જેના પછી તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનમાં 141 મુસાફરો સવાર હતા.

TV9 તમિલના જણાવ્યા અનુસાર, જ્યારે પ્લેન હવામાં હતું, ત્યારે પૈડા અંદર નહોતા જતા, જેના કારણે પ્લેન માટે વધુ ઓપરેશનલ સમસ્યાઓ ઊભી થઈ હતી. તેથી, અધિકારીઓએ વિમાનમાં રહેલ બળતણ સમાપ્ત થતાં તેને લેન્ડ કરવાની યોજના બનાવી હતી. કહેવાય છે કે ઈંધણથી ભરેલા વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન અકસ્માત થવાની સંભાવના રહેલી છે.

વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર અનેક એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતરી ગયું છે. લેન્ડિંગ કર્યા બાદ તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

વિમાનમાં ભરેલું ઇંધણ ખતમ કરવા માટે વિમાન લગભગ 2 કલાક સુધી ત્રિચી એરપોર્ટની આસપાસ હવામાં ઉડતું રહ્યું. આ બધા સમય દરમિયાન, વિમાનમાં સવાર મુસાફરોના શ્વાસ અટવાઈ ગયા હતા. વિમાનના ઈમરજન્સી લેન્ડિંગને ધ્યાનમાં રાખીને સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને રનવે પર અન્ય એરક્રાફ્ટની મુવમેન્ટ પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.