પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું સ્મારક બનાવવાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર મનમોહન સિંહનું સ્મારક બનાવશે. સૂત્રોનું કહેવું છે કે આગામી 3-4 દિવસમાં સ્મારકનું સ્થળ નક્કી કરવામાં આવશે. મનમોહન સિંહના પરિવારને સ્મારક વિશે જાણકારી આપવામાં આવી છે. સ્મારકને લઈને પરિવાર સરકાર સાથે સહમત થયો છે. જો કે શનિવારે સવારે 11.45 કલાકે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મોડી રાત્રે, ગૃહ મંત્રાલય દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારક સંબંધી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહના સ્મારક સ્થળને લઈને સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગેને જાણ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવારે કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે અને ડૉ. મનમોહન સિંહના પરિવારને જાણ કરી હતી કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અંતિમ સંસ્કાર અને ડૉ. મનમોહન સિંહના સ્મારકના નિર્માણને લઈને વાત કરી હતી અને વિનંતી કરી હતી કે પૂર્વ વડાપ્રધાનનું સ્મારક બનાવવામાં આવે. તેણે આ અંગે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો.
પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર શનિવારે સવારે 11.45 કલાકે નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે, પરંતુ સ્મારક વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. જ્યારે કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર તે જગ્યાએ કરવાની માંગ કરી હતી જ્યાં સ્મારક બનાવવામાં આવશે.
ઓફિશિયલ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કોંગ્રેસ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. સૂત્રોએ જણાવ્યું કે, સ્મારક અંગેનો નિર્ણય કોંગ્રેસને જણાવવામાં આવ્યો છે પરંતુ ઉમેર્યું હતું કે સ્મારક બનાવવા માટે યોગ્ય સ્થળ શોધવામાં થોડા દિવસો લાગશે.
એક સરકારી સૂત્રએ કહ્યું, “કોંગ્રેસને મનમોહન સિંહના સન્માનમાં સ્મારક બનાવવાના સરકારના નિર્ણયની જાણ કરવામાં આવી છે, પરંતુ તેઓ આ મુદ્દે રાજકારણમાં વ્યસ્ત છે.” તેમજ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ થઈ શકે છે. કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે.
કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનું નેતૃત્વ કરનાર અને આર્થિક સુધારાનો શ્રેય આપનારા સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેઓ 2004 થી 2014 ની વચ્ચે 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા.
કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે જગ્યા ન મળવી એ દેશના પ્રથમ શીખ વડા પ્રધાનનું જાણી જોઈને અપમાન છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિંહના અંતિમ સંસ્કાર શનિવારે સવારે 11.45 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે તે પછી કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો.