PM Modi birthday : PM મોદીના જન્મદિવસ પર 600 ગિફ્ટની થશે હરાજી, જાણો તમામની મૂળ કિંમત

PM Modi Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 600 થી વધુ ભેટોની તેમના જન્મદિવસ પર હરાજી કરવામાં આવશે. આ ભેટોની હરાજી માટે મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ગિફ્ટ્સની કિંમત 600 રૂપિયાથી 8.26 લાખ રૂપિયા સુધીની છે.

PM Modi birthday : PM મોદીના જન્મદિવસ પર 600 ગિફ્ટની થશે હરાજી, જાણો તમામની મૂળ કિંમત
600 gifts to be auctioned on PM Modi birthday
| Updated on: Sep 17, 2024 | 6:45 AM

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે તેમને મળેલી 600 થી વધુ ભેટોની હરાજી કરવામાં આવશે. હરાજી માટે રાખવામાં આવનારી આ ભેટોની મૂળ કિંમત આશરે 1.5 કરોડ રૂપિયા હશે.

આ માહિતી સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આપી છે. તેમણે કહ્યું કે પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના શૂઝ અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ પણ તેમાં સામેલ છે.

ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં પીએમ મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન કરતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પછી તેણે કહ્યું કે, આ ભેટોની હરાજી માટે મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેની ઓછામાં ઓછી કિંમત રૂપિયા 600 લઈને વધુમાં વધુ કિંમત રૂપિયા 8.26 લાખ સુધીની છે.

હરાજીમાં મળેલા પૈસા ક્યાં ખર્ચાશે?

તેમણે કહ્યું કે, વડાપ્રધાને તેમને મળેલી ભેટ અને સ્મૃતિચિહ્નોની હરાજી કરવાની નવી સંસ્કૃતિ શરૂ કરી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ કામ કરતા હતા. તેમને મળેલી ભેટ હરાજી દ્વારા લોકોને આપવામાં આવે છે. આમાંથી મળેલા પૈસા ગંગાની સફાઈમાં લગાવવામાં આવે છે. આ પ્રકારની હરાજી છઠ્ઠી વખત થવા જઈ રહી છે. આ વખતે પણ મળેલી રકમ રાષ્ટ્રીય ગંગા ફંડમાં દાન કરવામાં આવશે.

છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન મોદીને ભેટ તરીકે મળેલી 600 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. સૌથી વધુ આધાર કિંમત ધરાવતી ભેટોમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ નિત્યા શ્રીશિવન અને સુકાંત કદમના બેડમિન્ટન રેકેટ અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ ખાતુનિયાની ડિસ્કસનો સમાવેશ થાય છે. તેમની મૂળ કિંમત લગભગ 5.50 લાખ છે.

કેપની મૂળ કિંમત રૂપિયા 2.86 લાખ

પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ અજિત સિંહ, સિમરન શર્મા અને સિલ્વર મેડલિસ્ટ નિષાદ કુમાર દ્વારા ગિફ્ટમાં આપેલા શૂઝ સિવાય સિલ્વર મેડલિસ્ટ શરદ કુમાર દ્વારા હસ્તાક્ષર કરાયેલી કેપની બેઝ પ્રાઈસ લગભગ 2.86 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય રામ મંદિરની પ્રતિકૃતિ પણ છે. તેની મૂળ કિંમત 5.50 લાખ રૂપિયા છે. અહીં મોરની મૂર્તિ પણ છે. તેની મૂળ કિંમત 3.30 લાખ રૂપિયા છે.

હરાજી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે શરૂ થશે

રામ દરબારની મૂર્તિની કિંમત 2.76 લાખ રૂપિયા છે. ચાંદીના વીણાની કિંમત 1.65 લાખ રૂપિયા છે. કેટલીક અન્ય વસ્તુઓ પણ છે, જેની હરાજી થવાની છે. સૌથી નીચી બેઝ પ્રાઈસ ધરાવતી ભેટોમાં કોટન અંગવસ્ત્રો, કેપ અને શાલનો સમાવેશ થાય છે. તેમની કિંમત 600 રૂપિયા છે. આ હરાજી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસે શરૂ થશે. 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે.