જમ્મુ-કાશ્મીરના પુલવામાના (Pulwama Encounter) દ્રબગામ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. અત્યાર સુધીમાં કુલ 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આંતકીઓ પાસેથી પોલીસને હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક છે અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબના સભ્યો છે. આઈજીપી કાશ્મીર (IGP Kashmir) વિજય કુમારે કહ્યું કે, તેમાંથી એકની ઓળખ જુનૈદ શિરગોજરી તરીકે થઈ છે. જે શહીદ રિયાઝ અહેમદના મોતમાં સામેલ હતો. 13 મેના રોજ આતંકવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
આઈજીપી કાશ્મીરના (Jammu Kashmir) જણાવ્યા અનુસાર અન્ય બે આતંકીઓની પણ ઓળખ થઈ ગઈ છે. તેમાંથી એકનું નામ ફૈઝલ નઝીર ભટ અને બીજાનું નામ ઈરફાન મલિક છે. આ બંને પુલવામા જિલ્લાના રહેવાસી છે. તેમની પાસેથી ગુનાહિત સામગ્રી અને દારૂગોળો ઉપરાંત બે એકે 47 રાઈફલ અને એક પિસ્તોલ પણ મળી આવી છે.એક દિવસ પહેલા, જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક સૈનિક ઘાયલ થયો હોવાના અહેવાલ હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે કુલગામના ખાંડીપુરા વિસ્તારમાં આતંકવાદી છુપાયો હોવાની મજબૂત માહિતીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન(Search Opreation) શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીએ સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર(Firing) શરૂ કરી દીધો અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં આતંકી માર્યો ગયો. પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષા દળોએ પહેલા એન્કાઉન્ટર સ્થળની આસપાસના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ રસિક અહેમદ ગની તરીકે થઈ છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો સભ્ય છે અને કુલગામનો રહેવાસી છે, જેનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે.
પ્રવક્તાએ જણાવ્યુ કે પોલીસ રેકોર્ડ્સ મુજબ, માર્યો ગયેલ આતંકવાદી પોલીસ અને અન્ય સુરક્ષા દળો પર હુમલા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. એન્કાઉન્ટર સ્થળ પરથી રાઈફલ, ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો, 23 કારતૂસ, એક પિસ્તોલ, 31 કારતુસ અને એક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે.
Published On - 7:14 am, Sun, 12 June 22