રાજસ્થાનના (Udaipur) ઉદયપુરમાં નુપૂર શર્માના (Nupur Sharma) સમર્થનના કારણે હત્યા કરાયેલા કનૈયાલાલના (Kanaiyalal) મૃતદેહનું સરકારી એમબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. ઘર પર એકઠા થયેલા ટેકેદારોના ટોળાએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. સૂત્રોચ્ચાર વચ્ચે કનૈયાલાલના પરિવારના સભ્યોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તાર ગમગીન થઈ ઉઠ્યો હતો. દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post Mortem Report) પરથી હુમલાખોરોની નિર્દયતા સામે આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારોથી કનૈયાલાલ પર તીક્ષ્ણ હથિયારના 26 ઘા કર્યા હતા. જેનાથી શરીર પર 13 ઊંડા ઘા મળી આવ્યા હતા. આમાંના મોટાભાગના ગરદનની આસપાસ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગરદનને શરીરથી અલગ કરવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન જ્યારે કનૈયાલાલનો મૃતદેહ ઘરે પહોંચ્યો ત્યારે એકઠા થયેલા લોકોએ કનૈયાલાલ અમર રહો, હત્યારાઓને ફાંસી આપો જેવા નારા લગાવ્યા હતા. સ્વજનોએ પણ જીવને બદલે જીવની માંગણી કરી હતી. રડતા રડતા કનૈયાની બહેને કહ્યું, “જે રીતે મારા ભાઈને મારી નાખવામાં આવ્યો હતો, તેવી જ રીતે ગુનેગારોને મારવા જોઈએ.” ભીડે પોલીસ વિરુદ્ધ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે નુપૂર શર્માના સમર્થનમાં કરાયેલ પોસ્ટથી ઘાયલ થયા બાદ કટ્ટરવાદીઓએ કનૈયાલાલને ધમકી આપી હતી અને તેમની હત્યા કરવાની જાહેરાત કરી હતી. મંગળવારે સાંજે મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ નામના વ્યક્તિઓએ કનૈયાલાલની નિર્દયતાથી હત્યા કરી હતી. હુમલાખોરોએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ પણ કરી લીધી હતી. બંને આરોપીઓની રાજસ્થાન પોલીસે (Rajasthan Police) રાજસમંદમાંથી ધરપકડ કરી હતી.