
મહારાષ્ટ્રના (Maharashtra) લોકોને 1 એપ્રિલથી મોટી રાહત મળવા જઈ રહી છે. કોરોના (Corona) સંક્રમણને ઘણા અંશે નિયંત્રણમાં લાવવામાં આવ્યું છે. તેથી, 1 એપ્રિલથી, કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો (Relaxations on restrictions) વિચાર છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે જ્યારે કોરોના સંક્રમણ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, ત્યારે હવે કોરોના પ્રતિબંધોની જરૂર નથી. આમ તો મોટા પ્રમાણમાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. શાળાઓ, થિયેટરો, મોલ, રેસ્ટોરાં, ઉદ્યાનો, ઓફિસો ખુલી ગઈ છે અને રોજિંદો વ્યવહાર લગભગ કોરોના સમયગાળા પહેલાની જેમ પાટા પર આવવા લાગ્યો છે. પરંતુ હજુ પણ ઘણા નિયંત્રણો બાકી છે. હવે આને પણ દૂર કરવામાં આવશે અને રાજ્યમાં તમામ કામગીરી સંપૂર્ણપણે કોરોના સમયગાળા પહેલાની જેમ કરવામાં આવશે.
આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માસ્ક લગાવવાના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે એક મહત્વપૂર્ણ વાત કહી છે. રાજેશ ટોપેએ કહ્યું છે કે, ‘અન્ય દેશોમાં ચોથી લહેર આવવાને કારણે અમે અત્યારે માસ્ક હટાવવાની વાત કરી શકીએ નહી. તેથી, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક પછી, પ્રતિબંધ હટાવવા સંબંધિત નિર્ણયો લેવામાં આવશે, પરંતુ હાલમાં માસ્ક હટાવવાનો કોઈ વિચાર નથી. માસ્ક પહેરવું એ જનતાના હિતમાં છે.’ રાજેશ ટોપે દ્વારા આજે આપવામાં આવેલા આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં સરકાર માસ્કના નિયમો જાળવી રાખવાના પક્ષમાં છે. દેશ અને રાજ્યમાં ભલે કોરોનાને કાબૂમાં આવી ગયો હોય, પરંતુ વિશ્વના ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને યુરોપિયન દેશોમાં કોરોનાની ચોથી લહેર આવી ગઈ છે.
આજે અથવા ગુરુવારે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા
સરકાર આ અંગે આજે અથવા ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી શકે છે. પરંતુ એવી પૂરી સંભાવના છે કે જો પ્રતિબંધો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે તો પણ માસ્ક પહેરવાનો નિયમ યથાવત રહેશે. રાજ્યમાં કોવિડ નિયંત્રણ માટે રચાયેલી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં આવ્યું છે.
સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, રાજ્યમાં મોટાભાગના લોકોએ રસીકરણ કરાવ્યું છે. ઝડપી રસીકરણને કારણે કોરોનાનું સંકટ ઘણા અંશે ટળી ગયું છે. આ કારણોસર સંબંધિત સમિતિએ કોરોનાના નિયંત્રણો હટાવવાનો નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પ્રતિબંધની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા કાયદાઓ દૂર થઈ જશે. આવી સ્થિતિમાં, માસ્ક ન પહેરવા બદલ જે દંડ વસૂલવામાં આવી રહ્યો હતો, તે નિયમ પણ રદ થઈ શકે છે. પરંતુ લોકોને માસ્કનો ઉપયોગ કરવાની અપીલ ચોક્કસપણે કરવામાં આવશે.