મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (CM Eknath Shinde) ગુરુવારે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારી (Corona Pandemic) દરમિયાન તહેવારો પરના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે અને આગામી ગણેશ ચતુર્થી, દહીં હાંડી અને અન્ય ધાર્મિક તહેવારો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. તેમણે કહ્યું કે મોહરમના જુલૂસ પર પણ કોઈ પ્રતિબંધ રહેશે નહીં. માર્ચ 2020 માં મહામારીના પ્રસારને પગલે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની તત્કાલીન મહા વિકાસ અઘાડી સરકારે ગણેશોત્સવ દરમિયાન સરઘસ કાઢવા પર પ્રતિબંધ સહિત તહેવારો પર સંખ્યાબંધ નિયંત્રણો લાદ્યા હતા.
ઘર અને જાહેર પૂજા વર્તુળો દ્વારા સ્થાપિત કરવા માટેની ભગવાન ગણેશની મૂર્તિની ઊંચાઈ પણ મર્યાદિત હતી. આ પ્રતિબંધોને કારણે છેલ્લા બે વર્ષમાં ઘણા ધાર્મિક તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા. શિંદેએ કહ્યું કે, મહામારી દરમિયાન ધાર્મિક તહેવારો પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. લોકોએ આ તહેવારોને સકારાત્મકતા સાથે ઉજવવા જોઈએ. તેમણે કહ્યું કે રાજ્યભરના ગણેશ મંડળોને પંડાલ અને અન્ય વસ્તુઓની પરવાનગી મેળવવામાં સુવિધા આપવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનું અનેરૂ મહત્વ છે. 10 દિવસીય ગણેશ ઉત્સવ આ વર્ષે 31 ઓગસ્ટથી શરૂ થશે.
જણાવી દઈએ કે વર્ષ 2020 માં, કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા પછી, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ઘણા પ્રકારના નિયંત્રણો લાદ્યા હતા. 2021 માં પણ, કોરોના મહામારી તેની ટોચ પર હતો, તેથી તે સમયે પણ ગણેશ ચતુર્થી જેવા ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે, કોરોના મહામારીનો ખતરો હજુ ટળ્યો નથી. મહારાષ્ટ્ર એ રાજ્યોમાંનું એક છે જે કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે.
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત વધુ 2,289 દર્દીઓની પુષ્ટિ થઈ હતી અને છ લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ કેસ વધીને 80,27,395 થઈ ગયા છે જ્યારે 1,48,045 લોકોએ વાયરસને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા હવે 14,519 છે, જેમાંથી 5,125 દર્દીઓ પૂણેમાં, 1937 મુંબઈમાં અને 1384 નાગપુરમાં સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોવિડના 2,325 કેસ જોવા મળ્યા અને સાત લોકોના મોત થયા.