પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવાના મામલે બીજેપીના (BJP) પૂર્વ નેતા નૂપુર શર્માની (Nupur Sharma) મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલામાં મુંબઈ પોલીસે(Mumbai Police) સમન્સ મોકલીને 25 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમના દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ મામલો ગરમાયો છે. તેમના તરફથી કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી, મુસ્લિમ સમુદાયના લોકો વિરોધ (Protest) કરવા માટે દેશના ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા, ઉપરાંત ઘણી જગ્યાએ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયું હતું. જે બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી હતી.
પયગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ મુંબઈ (Mumbai) સહિત ઘણા શહેરોમાં ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ કેસ(FIR) નોંધવામાં આવ્યા છે. મુંબઈની પાયધુની પોલીસમાં રઝા ફાઉન્ડેશન વતી કલમ 295A, 153A, 505B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને નૂપુર શર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ 153A, 505 (2), કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ દિલ્હી પોલીસે (Delhi Police) પણ નૂપુર શર્મા અને અન્ય લોકો સામે FIR દાખલ કરી છે.
ટીબી ચેનલના ડિબેટ પ્રોગ્રામમાં પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કર્યા બાદ થોડા દિવસોથી નૂપુર શર્માની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આ મામલામાં ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી હાંકી કાઢી છે. સાથે જ નૂપુર શર્માએ પણ આ મામલે જાહેરમાં માફી માંગી છે.
નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ બાદ દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયુ હતુ. જેમાં ઉત્તર પ્રદેશના (Uttarpradesh) પ્રયાગરાજ તેમજ મુરાદાબાદ, સહારનપુર, ઝારખંડના રાંચી, હૈદરાબાદ અને પશ્ચિમ બંગાળમાં ભારે હોબાળો મચી ગયો હતો. જેની સામે પોલીસે આકરું વલણ અપનાવવું પડ્યું હતું. ઉપરાંત રાંચીમાં, પોલીસે ભીડને શાંત કરવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા.