મુંબઈના
(Mumbai) ઘાટકોપરમાં
(Ghatkopar) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યાલયમાં લાઉડસ્પીકરથી
(Loudspeaker) હનુમાન ચાલીસા વગાડવામાં આવી. મનસે ચીફ રાજ ઠાકરેએ ગઈકાલે કહ્યું હતું કે હું હવે ચેતવણી આપી રહ્યો છું… લાઉડસ્પીકર હટાવો નહીંતર મસ્જિદની સામે લાઉડસ્પીકર મૂકીને હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માગ કરી હતી. ઠાકરેએ શિવાજી પાર્કમાં રેલી દરમિયાન કહ્યું હતું કે મસ્જિદોમાં આટલા મોટા અવાજે લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારા ધર્મ પર ગર્વ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડાએ NCPના વડા શરદ પવારની પણ ટીકા કરી હતી અને તેમના પર સમયાંતરે જાતિનો મુદ્દો ઉઠાવવાનો અને સમાજમાં વિભાજન કરવાનો આરોપ મૂક્યો હતો. ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ કટાક્ષ કર્યો, જેમની પાર્ટી શિવસેનાએ 2019 માં મુખ્યપ્રધાન પદને લઈને ભાજપથી છેડો ફાડ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે પર પણ કસ્યો તંજ
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા પરંતુ તેમણે ક્યારેય સીટ શેરિંગ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો ન હતો. ઉદ્ધવે આ મુદ્દો ત્યારે જ ઉભો કર્યો જ્યારે તેમને સમજાયું કે ભાજપ તેમની મદદ વિના (2019ની ચૂંટણી પછી) સરકાર બનાવી શકશે નહીં. MNS નેતાએ આરોપ લગાવ્યો કે સરકારમાં ત્રણ પક્ષો (શિવસેના, NCP અને કોંગ્રેસ) એ લોકોના આદેશની અવગણના કરી છે.
શરદ પવારે આપ્યો આ જવાબ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર જાતિનું રાજકારણ રમવાના રાજ ઠાકરેના આરોપને નકારી કાઢતા, પાર્ટીના વડા શરદ પવારે રવિવારે કહ્યું કે MNS પ્રમુખ ક્યારેય કોઈ મુદ્દા પર અભિપ્રાય શેર કરતા નથી અને વર્ષમાં ત્રણથી ચાર મહિના સુષુપ્ત સ્થિતિમાં રહે છે. જે તેમની ખાસિયત છે.
શનિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતેની રેલીમાં રાજ ઠાકરેએ શરદ પવારની ટીકા કરી, તેમના પર સમયાંતરે જાતિનું કાર્ડ રમવાનો અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો. તેનાથી વિપરીત, એનસીપીએ તમામ જાતિના લોકોને એક કર્યા છે, એમ પવારે જણાવ્યું હતું. રાજ ઠાકરેએ ટિપ્પણી કરતા પહેલા એનસીપીનો ઈતિહાસ વાંચવો જોઈએ.