મહારાષ્ટ્રમાં મુંબઈની એક અદાલતે સોમવારે નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં લોકસભા સાંસદ નવનીત રાણા અને તેમના પિતા વિરુદ્ધ નવેસરથી બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. અગાઉ, કોર્ટે સપ્ટેમ્બરમાં રાણા અને તેના પિતા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું, જે પૂર્ણ થયું ન હતું. નોંધાયેલ ફરિયાદ મુજબ, રાણા અને તેના પિતાએ કથિત રીતે બનાવટી જાતિ પ્રમાણપત્ર મેળવ્યું હતું કારણ કે તે જે બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ હતી તે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.
સોમવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે પોલીસે અમરાવતી સાંસદ અને તેના પિતા વિરુદ્ધ જાહેર કરાયેલ વોરંટને અમલમાં મૂકવા માટે વધુ સમય માંગ્યો હતો. જોકે, કોર્ટે પોલીસની વિનંતીને ફગાવી દીધી હતી અને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પી.આઈ. મોકાશીએ બંને વિરુદ્ધ નવેસરથી વોરંટ જાહેર કર્યું હતું.
કોર્ટે વોરંટ પર રિપોર્ટ દાખલ કરવા માટે કેસની સુનાવણી 28 નવેમ્બર સુધી મુલતવી રાખી છે. મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાણા અને તેના પિતાએ કથિત રીતે બનાવટી જાતિ પ્રમાણપત્ર મેળવ્યું હતું કારણ કે તે જે બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ હતી તે અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.
બોમ્બે હાઈકોર્ટે 2021 માં અમરાવતી સાંસદને જારી કરાયેલ જાતિ પ્રમાણપત્રને રદબાતલ કરી દીધું હતું અને કહ્યું હતું કે તે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યું હતું.
વાસ્તવમાં સાંસદ નવનીત રાણા પર તેમના ચૂંટણી એફિડેવિટમાં નકલી જાતિ પ્રમાણપત્ર લગાવવાનો આરોપ છે. આ નકલી પ્રમાણપત્ર વિરુદ્ધ શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલ અને સુનીલ ભાલેરાવે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ પછી હાઈકોર્ટે જૂન 2021માં નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર રદ કર્યું હતું. આ ઉપરાંત તેના પર બે લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.