મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના (Eknash Shinde) સમર્થક અને મગથાણેના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ (MLA Prakash Surve) દહિસર કોકણી પાડા બુદ્ધ વિહારમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. પોતાના ભાષણમાં પ્રકાશ સુર્વેએ ઉદ્ધવ ઠાકરે જૂથ (Uddhav Thackeray group) તરફ ઈશારો કરતા કહ્યું કે તેઓ આ ચૂંટણીમાં પોતાની સ્થિતિ બતાવશે. જે કોઈ આપણા કામની વચ્ચે આવે તેનો હાથ તોડી નાખો, જો તેનો હાથ ના તોડી શકતા હોવ તો તેનો પગ તોડી નાખો. પ્રકાશ સુર્વેએ કહ્યું કે બીજા દિવસે તમને જામીન મળી જશે. કોઈ ચિંતા કરશો નહી.
તેણે કહ્યું, ‘કોઈ તમને ઓ…કે અરે કરે તો તમે તેમની દાદાગીરી સહન ના કરશો. તેમને મારો… પ્રકાશ સુર્વે અહીં બેઠા છે. જો તમે તેનો હાથ ના તોડી શકે તો તેનો પગ તોડી નાખો.. બીજા દિવસે મને જામીન મળી જશે.. ચિંતા કરશો નહીં. અમે કોઈની સાથે લડીશું નહીં, પરંતુ જો કોઈ અમારી સાથે લડશે તો અમે તેને પણ છોડીશું નહીં.
આ ઉશ્કેરણીજનક નિવેદનના વિરોધમાં ઠાકરે જૂથ દ્વારા દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર શિવસેનાના પૂર્વ કાઉન્સિલર ઉદેશ પાટેકરે દહિસર પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ આપવા બદલ પ્રકાશ સુર્વે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાટેકરે પોલીસને પ્રકાશ સુર્વેના ભડકાઉ ભાષણની વીડિયો ક્લિપ પણ આપી છે. પ્રકાશ સુર્વે સામે કેસ નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસેનામાંથી એકનાથ શિંદે જૂથ અલગ થયા બાદ શિવસેના અને એકનાથ શિંદે જૂથ વચ્ચે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ બન્ને જૂથના લોકો વચ્ચે ઘર્ષણના અવારનવાર બનાવો બનતા આવ્યા છે. આ બાબતના જાણકારોનું કહેવુ છે કે, હજુ પણ આવા બનાવો વધવાની સંભાવના છે. પોલીસ માટે દ્વિધાભરી સ્થિતિ સર્જાઈ રહી છે. પોલીસ બન્ને જૂથના આગેવાનોને અવારનવાર સમજાવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તેવા પ્રયાસ કરી રહી છે.