મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખને (Anil Deshmukh) EDના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. NCP નેતા અનિલ દેશમુખને આજે એટલે કે મંગળવારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા EDના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા છે. અનિલ દેશમુખની પીએમએલએ કાયદા હેઠળ 2 નવેમ્બરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 11 મહિના પછી બોમ્બે હાઈકોર્ટે તેમને ED કેસમાં જામીન આપ્યા હતા. તેમને 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે. પરંતુ તેમને પાસપોર્ટ જમા કરાવવા અને તપાસમાં દખલ ન કરવા અને પૂછપરછમાં સહકાર આપવા કહેવામાં આવ્યું છે.
બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણય સામે ઈડી સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ED આ આદેશ પર સુપ્રીમ કોર્ટ પાસે 13 ઓક્ટોબર સુધી સ્ટે માંગશે. દેશમુખના વકીલે જણાવ્યું કે ઈડીએ હાઈકોર્ટમાં 13 ઓક્ટોબર સુધી જામીન પર સ્ટે મૂકવાની અપીલ પણ કરી હતી. પરંતુ એમકે જામદારની ડિવિઝન બેન્ચે EDની આ અપીલને ફગાવી દીધી હતી.
જસ્ટિસ એમકે જમાદારની ડિવિઝન બેંચ સમક્ષ ચાલી રહેલી સુનાવણીમાં અનિલ દેશમુખના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજે મારફતે રૂ. 100 કરોડ ચૂકવ્યા હોવાના આરોપને સમર્થન આપવા માટે ED તપાસમાં કોઈ નક્કર પુરાવા નથી. સચિન વાજે સતત પોતાના નિવેદનો બદલી રહ્યા છે. તેથી તેમના નિવેદન પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. આ સિવાય અનિલ દેશમુખની ઉંમર પણ 73 વર્ષની છે અને તેઓ ઘણી બીમારીઓથી પીડિત છે.
29 ડિસેમ્બરે EDએ અનિલ દેશમુખ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ED કેસમાં અનિલ દેશમુખને જામીન મળી ગયા છે, પરંતુ CBI કેસમાં દેશમુખના વકીલ હવે મુંબઈની સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. દેશમુખના વકીલનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. કારણ કે તેમની સામેના આરોપની તરફેણમાં પુરાવા મજબૂત નથી. CBI કેસની સુનાવણી 13 ઓક્ટોબરે થશે. જો આમાં પણ રાહત મળશે તો અનિલ દેશમુખ માટે મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવવાનો માર્ગ ખુલશે, ત્યાં સુધી તેણે જ્યુડિશિયલ કસ્ટડીનો સમય જેલમાં જ પસાર કરવો પડશે.