મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. જો આ વાતને એક શાયરીમાં સમજાવવી હોય તો ‘ઘર મેં હી આગ લગ ગઈ, ઘર કે હી દીયો સે.’ હકીકતમાં શિવસેના પાર્ટી સાથે જોડાયેલા પૂર્વ મંત્રી રામદાસ કદમ (Ramdas Kadam, Shiv Sena)ની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
આ ક્લિપ સાબિત કરે છે કે કદમે હાલના પરિવહન મંત્રી અનિલ પરબ (Anil Parab, Shiv Sena) સામે ઈડીની કાર્યવાહી માટે પુરાવા આપ્યા હતા. આ માટે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા (Kirit Somaiya, BJP) સહિત RTI કાર્યકર પ્રસાદ કર્વેના (Prasad Karve, RTI) સંપર્કમાં હતા.
ઓડિયો ક્લિપ વાયરલ થાય તે પહેલા આ આરોપ રાજ ઠાકરેની (Raj Thackeray) પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સેક્રેટરી વૈભવ ખેડેકર (Vaibhav Khedekar, MNS) દ્વારા પણ લગાવવામાં આવ્યો હતો. વૈભવ ખેડેકર ઉપરાંત એનસીપીના પૂર્વ ધારાસભ્યે પણ રામદાસ કદમ વિશે આ જ ખુલાસો કર્યો છે. એટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવે છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) અત્યંત નજીકના નેતા મિલિંદ નાર્વેકર (Milind Narvekar, Shiv Sena) સામે રામદાસ કદમે કિરીટ સોમૈયાને પુરાવા આપ્યા છે.
રામદાસ કદમ આરટીઆઈ કાર્યકર્તા પ્રસાદ કર્વે દ્વારા સોમૈયાના સંપર્કમાં હતા. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ શિવસેનાની અંદર ભૂકંપ આવ્યો છે. અમારી સહયોગી ચેનલ Tv9 મરાઠીને રામદાસ કદમના મરાઠી સંવાદોની ઓડિયો ક્લિપ મળી છે. જેનાથી જાણવા મળે છે કે રામદાસ કદમ સતત કિરીટ સોમૈયા અને પ્રસાદ કર્વેના સંપર્કમાં હતા. જોકે Tv9 આ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
શિવસેનાના નેતા રામદાસ કદમે આ આરોપોને નકાર્યા છે. તેમણે કહ્યું છે કે કથિત ઓડિયો ક્લિપમાં અવાજ તેમનો નથી અને આ ઓડિયો ક્લિપ ટ્વિસ્ટ કરીને બનાવવામાં આવી છે. તેણે કહ્યું છે કે આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરીને તેને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કદમે કહ્યું કે તેમને સોમૈયા અને કર્વે સાથે કોઈ લેવાદેવા નથી.
રામદાસ કદમ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે, આ વખતે તેમને મંત્રી બનાવવામાં આવ્યા ન હતા, તેથી પરસ્પર ઈર્ષ્યાને કારણે તેમણે કિરીટ સોમૈયાને અનિલ પરબ સાથે સંબંધિત મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના પુરાવા આપ્યા હતા પણ રામદાસ કદમ કહે છે કે તે સામેથી વાર કરતા વ્યક્તિ છે, તે પીઠ પર ખંજર ભોંકવા વાળા માણસ નથી.
રામદાસ કદમે કહ્યું કે ‘અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાન મારાથી સંબંધિત એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. તેમાં મને મુસ્લિમો વિરુદ્ધ બોલનાર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. મને બદનામ કરનારાઓ સામે મેં દાવો પણ કર્યો છે.
મેં બે વખત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હું મંત્રી પદ સ્વીકારું નહીં તો પછી મંત્રી ન બનાવવા પર ગુસ્સે થવાનો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે. મને મારી જ પાર્ટી સાથે કોઈ નારાજગી નથી. હું બે દિવસની અંદર આ બાબતે મારા પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળીશ અને મને બદનામ કરનારા વૈભવ કદમ અને પૂર્વ ધારાસભ્ય સંજય કદમ સામે બદનક્ષીનો દાવો દાખલ કરીશ.