Maharashtra Politics: જયંત પાટીલે અમિત શાહને મળવાના સમાચારનું કર્યું ખંડન, કહ્યું- હું શરદ પવારને મળવા ગયો હતો

અમિત શાહ બે દિવસીય મહારાષ્ટ્ર પ્રવાસે છે. પોતાના પ્રવાસની શરૂઆતમાં શાહે એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મુલાકાત કરી હતી. 45 મિનિટની આ બેઠક દરમિયાન અમિત શાહ અને શિંદે-અજિત વચ્ચે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા થઈ હતી.

Maharashtra Politics: જયંત પાટીલે અમિત શાહને મળવાના સમાચારનું કર્યું ખંડન, કહ્યું- હું શરદ પવારને મળવા ગયો હતો
Sharad Pawar - Jayant Patil - Ajit Pawar
| Edited By: | Updated on: Aug 06, 2023 | 4:25 PM

મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) નેતાઓનો પક્ષપલટાનો સિલસિલો હજુ અટક્યો નથી. રવિવારે આ યાદીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) જયંત પાટીલનું નવું નામ સામે આવ્યું છે. પરંતુ જયંત પાટીલ (Jayant Patil) પોતે જ આગળ આવ્યા અને આવી શક્યતાઓને ફગાવી દીધી હતા. સૂત્રોના જણાવ્યા મૂજબ, જયંત પાટીલે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. બેઠક બાદ તેમણે પોતાના સમર્થક ધારાસભ્યોને પણ મુંબઈ બોલાવ્યા હતા. આ બેઠકના કારણે એનસીપીમાં વધુ એક ભંગાણની શક્યતાઓ દેખાઈ રહી છે.

જયંત પાટીલ અને અમિત શાહ વચ્ચે રવિવારે થઈ મુલાકાત

જયંત પાટીલ આ સમાચારો બાદ મીડિયાની સામે આવ્યા અને કહ્યું કે, તેમને અમિત શાહને મળવાના સમાચાર મીડિયામાંથી જ મળ્યા છે અને આ બધા સમાચાર તેમના માટે મનોરંજન છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, જયંત પાટીલ અને અમિત શાહ વચ્ચે રવિવારે સવારે મુંબઈની હોટેલ JW મેરિયટમાં મુલાકાત થઈ હતી. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ બેઠકની સ્ક્રિપ્ટ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે લખી હતી.

શરદ પવાર જૂથને છોડીને અજિત પવાર સાથે જઈ શકે

મીટિંગના આ દાવાઓ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી કે, જયંત પાટીલ એનસીપીના શરદ પવાર જૂથને છોડીને અજિત પવાર સાથે જઈ શકે છે. તેમની સાથે જનારા નેતાઓની યાદીમાં પ્રાજક્તા તાનપુરે જેવા મોટા નામોનો પણ સમાવેશ થાય છે. પરંતુ તમામ શક્યતાઓને ફગાવી દેતા પાટીલે કહ્યું કે, હું ક્યાં ગયો કે કોને મળ્યો તેના પુરાવા પણ આપવા જોઈએ.

આ પણ વાંચો : Mumbai: દરિયામાં ફિશિંગ કરવા ગયા અને બોટ પલટી, મુંબઈના વર્સોવા બીચ પર બની મોટી દુર્ઘટના

જયંત પાટીલે કહ્યું કે, તેઓ રાત્રે 2 વાગ્યા સુધી મીટિંગમાં હતા. તેઓ રવિવારે સવારે શરદ પવારને મળવા ગયા હતા. તેમણે સવાલ કર્યો કે આ બધા વચ્ચે તેઓ અમિત શાહને ક્યારે મળ્યા હતા. શરદ પવાર સિવાય અજિત પવારના નેતૃત્વમાં NCPના 8 ધારાસભ્યો મહારાષ્ટ્રની શિંદે સરકારમાં મંત્રી બન્યા છે.

અમિત શાહે એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મુલાકાત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય મહારાષ્ટ્ર પ્રવાસે છે. પોતાના પ્રવાસની શરૂઆતમાં અમિત શાહે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે મુલાકાત કરી હતી. 45 મિનિટની આ બેઠક દરમિયાન અમિત શાહ અને શિંદે-અજિત વચ્ચે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન શાહે અજિત સાથે પશ્ચિમ મહારાષ્ટ્રની 4 બેઠકો વિશે પણ વાત કરી જે એનસીપી અથવા શરદ પવારના ગઢ તરીકે ઓળખાય છે.

મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો