મહારાષ્ટ્રના 50 ખેડૂતોએ CM ઉદ્ધવ ઠાકરે પાસે નક્સલવાદી બનવાની માંગી પરવાનગી, હિંગોલીના આ સમાચારથી ખળભળાટ

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના તાકતોડા ગામના આ ખેડૂતોનું કહેવું છે કે સરકાર એક હાથે મદદ આપી રહી છે તો બીજા હાથે વીજળી બિલની વસૂલાતના નામે મદદ પાછી ખેંચી રહી છે. આમાં ખેડૂતે ખાશે શું અને ખેતરોમાં વાવશે શું?

મહારાષ્ટ્રના 50 ખેડૂતોએ CM ઉદ્ધવ ઠાકરે પાસે નક્સલવાદી બનવાની માંગી પરવાનગી, હિંગોલીના આ સમાચારથી ખળભળાટ
Maharashtra CM Uddhav Thackeray (file photo)
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:59 PM

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના સેનગાંવ તાલુકાના ખેડૂતોએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પાસે નક્સલ બનવાની પરવાનગી માંગી છે. તાકતોડા ગામ સાથે સંકળાયેલા આ ખેડૂતોએ તહસીલદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતો દ્વારા મોકલવામાં આવેલી આ અરજીમાં લખવામાં આવ્યું છે કે આ વર્ષે અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેતી સંપૂર્ણપણે નાશ પામી છે. સોયાબીન, તુવેર, કપાસ, અડદ, મગનો પાક સડી ગયો છે.

 

ખેડૂતોનું કહેવું છે કે કુદરતના કહેરથી ખરીફ પાક બગડ્યો હતો, જ્યારે સરકારના વિજ વિભાગ દ્વારા વીજ કાપને કારણે રવિ પાક બગડશે. મહારાષ્ટ્રમાં વીજળી સપ્લાય કરતી સંસ્થા મહાવિતરણ દ્વારા ખેડૂતોના ખેતરોમાં સિંચાઈ માટે વપરાતી વીજળી કાપવામાં આવી રહી છે.

 

કુદરતના કહેરથી ખરીફ પાક સડી ગયો, હવે વીજકાપના કારણે રવિ પાકની મુશ્કેલી વધી

ખેડૂતોનું કહેવું છે કે તેઓ વીજ બિલ ભરવા માટે તૈયાર છે, માત્ર થોડો સમય માંગ્યો છે. પરંતુ મહાવિતરણના અધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર નથી. મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના તાકતોડા ગામના આ ખેડૂતોનું કહેવું છે કે સરકાર એક હાથે મદદ આપી રહી છે તો બીજા હાથે વીજળી બિલની વસૂલાતના નામે મદદ પાછી ખેંચી રહી છે. આમાં ખેડૂતો ખાશે શું અને આગામી પાક માટે ખેતરમાં શું વાવશે? ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે.

 

એક જ ગામના 50થી વધુ ખેડૂતો નક્સલવાદી બનવા તૈયાર

હિંગોલી જિલ્લાના ખેડૂતો સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા છે. આ હતાશામાં ખેડૂતોએ તેમને નક્સલવાદી બનવા દેવા માટે મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે. આવક તો કંઈ થઈ રહી ન હતી. ખેડૂત કરે તો શું કરે? મુખ્યપ્રધાને જ કોઈ ઉકેલ સૂચવવો જોઈએ અથવા નક્સલવાદી બનવાની મંજૂરી આપવી જોઈએ. આ અરજી પર હિંગોલી જિલ્લાના સેનગાંવ તાલુકાના આ તાકતોડા ગામના 50થી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કર્યા છે.

 

આ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે (24 નવેમ્બર, બુધવાર) તેમની ગરદન અને પીઠના દુખાવાની સર્જરી કરાવ્યા બાદ ઘરે પરત ફર્યા છે. સર્જરી સફળ રહી છે. મુખ્યમંત્રી હાલ ગળા અને કમરના દુખાવામાંથી મુક્ત છે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોના દર્દ નિવારવા માટે મુખ્યમંત્રી કંઈ દવાઓની વ્યવસ્થા કરે છે.

 

 

આ પણ વાંચો :  મોદી સરકારના Crypto Bill લાવવાના અહેવાલો વચ્ચે Virtual Currency ધડામ… Bitcoin અને Solana સહિતની Cryptocurrency ના મૂલ્યમાં ઘટાડો થયો