મહારાષ્ટ્રની કસ્બા અને ચિંચવાડ વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી, શરૂ થયુ મતદાન

પૂણેની નજીક આવેલા ચિંચવાડમાં ભાજપના અશ્વિની જગતાપ અને NCPના નાના કાટે વચ્ચે જંગ છે. મહત્વનું છે કે કસ્બા મતવિસ્તારમાં 2,75,428 નોંધાયેલા મતદારો છે અને ચિંચવાડમાં 5,68,954 છે.

મહારાષ્ટ્રની કસ્બા અને ચિંચવાડ વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી, શરૂ થયુ મતદાન
| Edited By: | Updated on: Feb 26, 2023 | 8:04 AM

મહારાષ્ટ્રમાં કસ્બા અને ચિંચવાડ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન થશે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયુ છે. જેની મતગણતરી 2 માર્ચે થશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મુક્તા તિલક અને લક્ષ્મણ જગતાના નિધન બાદ આ બે બેઠકો પર પેટાચૂંટણીની જરૂરિયાત ઉભી થઈ છે. પૂણે શહેરના કસ્બા વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણીમાં ભાજપના હેમંત રસાને અને કોંગ્રેસના રવિન્દ્ર ધાંગેકર વચ્ચે ચૂંટણી લડશે.

આ ધૂરંધરો વચ્ચે કાંટાની ટક્કર

ધાંગેકર કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધન સમર્થિત ઉમેદવાર છે. પૂણેની નજીક આવેલા ચિંચવાડમાં ભાજપના અશ્વિની જગતાપ અને એનસીપીના નાના કાટે વચ્ચે જંગ છે. કસ્બા મતવિસ્તારમાં 2,75,428 નોંધાયેલા મતદારો છે અને ચિંચવાડમાં 5,68,954 છે. માહિતી મુજબ મતદાન મથકોની 100 મીટરની અંદર દુકાનો બંધ રહેશે.

સત્તા પરિવર્તન બાદ રાજકારણ ગરમાયું

આપને જણાવી દઈએ કે શિવસેના પ્રમુખ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, NCP વડા શરદ પવાર, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે, NCP નેતા અજિત પવાર, શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ આ બે મતવિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ રાજકારણ ગરમાયું છે.

તેથી જ આ પેટાચૂંટણીને શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ માટે સન્માનની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેનાનું નામ અને નિશાન છીનવાઈ ગયું છે. શિવસેનાના નામ-ચિહ્નને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પણ ગયું હતું. પરંતુ, ત્યાં પણ ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2014થી થયેલા વિકાસ કાર્યોના આધારે ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે તો વધુમાં કહ્યું કે NDA સરકારે તેના વિકાસ કાર્યો અને સુશાસન દ્વારા લોકોમાં વિશ્વાસની ભાવના જગાડી છે.