Mumbai: પશ્ચિમ રેલ્વેની નવી પહેલ, ડ્રોન કેમેરાની મદદથી રાખવામાં આવશે રેલ્વે સ્ટેશનના દરેક ખુણા પર નજર

પશ્ચિમ રેલવે રેલવેની સંપત્તિ, આપત્તિ વ્યવસ્થાપન અને ભીડ વ્યવસ્થાપન પર નજર રાખવા માટે સર્વેલન્સ ડ્રોનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે.

Mumbai: પશ્ચિમ રેલ્વેની નવી પહેલ, ડ્રોન કેમેરાની મદદથી રાખવામાં આવશે રેલ્વે સ્ટેશનના દરેક ખુણા પર નજર
પશ્ચિમ રેલવે સુરક્ષા વધારવા માટે સર્વેલન્સ ડ્રોનનો ઉપયોગ કરશે
| Edited By: | Updated on: Oct 16, 2021 | 8:29 PM

મુંબઈ (Mumbai)માં તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવા કોઈપણ આપત્તિ અથવા અકસ્માતોને રોકવા અને ટ્રેક મોનિટરિંગ માટે સર્વેલન્સ ડ્રોનનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. આ સર્વેલન્સ ડ્રોન દ્વારા રેલવે સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવામાં મદદ મળશે, એટલું જ નહીં ભાગદોડ અથવા અન્ય પ્રકારના અકસ્માતોને રોકવામાં પણ મદદ મળશે.

 

શું છે ડ્રોનની વિશેષતા? 

તહેવારોની સીઝનને કારણે મોટી સંખ્યામાં લોકો મુંબઈથી તેમના ગામોમાં જવા લાગ્યા છે. આ દરમિયાન સ્ટેશનો પર ઘણી ભીડ જોવા મળી રહી છે, જે હવે ધીમે ધીમે વધશે પણ ખરી. આ ભીડને મેનેજ કરવા અને ભીડને કારણે સંભવિત અકસ્માતો ટાળવા માટે પશ્ચિમ રેલવે સર્વેલન્સ ડ્રોન દ્વારા નજર રાખશે.

 

ટેક્નિકલ પાસા વિશે વાત કરતા પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે ડ્રોન કેમેરામાં આધુનિક જીપીએસ આધારિત ટેકનોલોજી હશે અને તેને ઓટોપાયલોટ મોડમાં ફેરવી શકાય છે. સર્વેલન્સ ડ્રોન કોઈપણ કટોકટીની સ્થિતિમાં તેમના બેઝ સ્ટેશન પર પાછા આવી શકશે. રેલવે દ્વારા ઉપયોગમાં લેવાતું આ ડ્રોન 25 મિનિટ સુધી જમીનની સપાટીથી 200 મીટરની ઉંચાઈએ 2 કિમીના અંતર સુધી ઉડવા સક્ષમ છે.

 

એટલું જ નહીં, આ જીપીએસ આધારિત ઓટો વે પોઈન્ટ નેવિગેશન સિસ્ટમ તેને ઓટો ટેક ઓફ, ગાઈડન્સ અને લેન્ડિંગ કરવામાં મદદ કરે છે અને પેલોડ તરીકે ઈન્સ્ટોલ કરેલા 5X ઓપ્ટિકલ ઝૂમ કેમેરા સાથે હાઈ રિઝોલ્યુશન ઈમેજો કેપ્ચર કરવામાં સક્ષમ છે. આ ડ્રોન ટેરેન ડિટેક્શન, જીઓ ફેન્સિંગ અને નો ફ્લાય ઝોન ફિચરથી પણ સજ્જ છે. આ સર્વેલન્સ ડ્રોન ખાસ કરીને સૌથી ગીચ સ્ટેશનો મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા, અંધેરી અને બોરીવલીમાં ઉપયોગમાં લેવાશે અને આ માટે આરપીએફને તાલીમ પણ આપવામાં આવી છે.

 

પશ્ચિમ રેલ્વે આ ડ્રોનનો ઉપયોગ યાર્ડ અને ટ્રેક પર નજર રાખવા માટે પણ કરી શકે છે. આ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)નું સર્ટિફિકેશન અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે મંજૂરી માટેનું કામ પણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં રેલ્વે સ્ટેશનો પર ભીડને કારણે ઘણી દુર્ઘટના બની છે. ભાગદોડ મચી હોવાને કારણે ઘણા લોકોએ તેના જીવ પણ ગુમાવ્યા છે. ખાસ કરીને તહેવારો દરમિયાન આવી દુર્ઘટનાઓની સંભાવના રહેતી હોય છે. આ જ કારણોસર રેલ્વે પહેલેથી જ તકેદારી દાખવવા માંગે છેે અને ડ્રોન દ્વારા સુરક્ષા વધારી રહી છે.

 

આ પણ વાંચો :  આર્યન ડ્રગ્સ કેસને લઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવે NCB પર સાધ્યુ નિશાન, કહ્યુ ‘સેલિબ્રિટીને પકડીને ઢોલ વગાડે છે’