‘2014ની ચૂંટણી દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચેનું ગઠબંધન માત્ર એક સીટને કારણે તૂટી ગયું હતું. કારણ કે વાત આત્મસન્માનની હતી અને તેમને કોઈ આત્મસન્માન નથી. તેઓ ભાજપ દ્વારા ફેંકવામાં આવેલા ભંગાર પર જીવી રહ્યા છે. આજે ભાજપ 40-50 બેઠક આપવાની વાત કરી રહી છે. આવતીકાલે તે પાંચ બેઠકો વિશે વાત કરશે. છતાં તેઓ સહમત થઈ જશે.’ આ શબ્દોમાં સંજય રાઉતે એકનાથ શિંદેની શિવસેના પર આકરા પ્રહારો કર્યા છે. તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
ગઈકાલે ચંદ્રશેખર બાવનકુલેએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને સંબોધતા આ નિવેદન આપ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 288માંથી 240 બેઠક પર ચૂંટણી લડશે અને ઓછામાં ઓછી 200 બેઠક જીતવા માટે તૈયારીઓ કરવી પડશે. તેમણે શિંદે જૂથને 48 બેઠક આપવાની વાત કરી હતી.
આ પછી શિંદે જૂથ વતી ધારાસભ્ય સંજય શિરસાટે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ચંદ્રશેખર બાવનકુલેએ એટલું જ કહ્યું જેટલો તેમને અધિકાર છે. તેઓએ બિનજરૂરી નિવેદનો કરવાથી બચવું જોઈએ. તેઓ અમને 48 બેઠક પર લડવા દેશે અને અમે સહમત થઈશું? શું તમને લાગે છે કે અમે મૂર્ખ છીએ? આ તમામ બાબતો ગઠબંધનમાં તિરાડ ઊભી કરવાનું શરૂ કરે છે.
સ્થિતિ વણસતી જોઈને ભાજપના પ્રદેશ પ્રમુખને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેમણે સ્પષ્ટતામાં કહ્યું, ‘અમારા નિવેદનનો વીડિયો અડધો અધૂરો વાયરલ કરવામાં આવ્યો હતો. અમે તેમાં ક્યાંય એવું નથી કહ્યું કે સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. આનો નિર્ણય દિલ્હી અને મહારાષ્ટ્રના અમારા વરિષ્ઠ નેતાઓ શિવસેના સાથે મળીને કરશે.
આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ‘ભાજપના હૈયાની વાત હોઠ પર આવી ગઈ. અમે એકનાથ શિંદેને ભાજપથી સાવચેત રહેવાની સલાહ આપીએ છીએ. આવનારા સમયમાં ભાજપ તેમની સાથે શું કરશે, તેનો અંદાજ લગાવી શકાય છે.’
શરદ પવારની પાર્ટી એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે આ મુદ્દે કહ્યું કે ‘શિંદે જૂથ 2024ની ચૂંટણી માત્ર બીજેપીના સિમ્બોલ પર જ લડશે. શિંદેની શિવસેનાનો કોઈ પત્તો નહીં રહે. આ બાબતે શંકા કરવાનું કોઈ કારણ નથી.