
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડનેકરને કોવિડ બોડી બેગ કૌભાંડ કેસમાં 8 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ BMCના એડિશનલ કમિશનર પી વેલારાસુને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ પણ આ મામલે તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં ખીચડી કૌભાંડ અને મુંબઈમાં બોડી બેગ કૌભાંડની તપાસ તેજ થઈ ગઈ છે. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુંબઈના ભૂતપૂર્વ મેયર અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા કિશોરી પેડનેકરને સમન્સ મોકલ્યું હતું. EDએ 8 નવેમ્બરે પેડનેકરને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સાથે EDએ BMC એડિશનલ કમિશનર પી વેલારાસુને પણ સમન્સ મોકલ્યુું છે અને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
ખીચડી કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે શિવસેના યુબીટી નેતા અમોલ કીર્તિકરની લગભગ પાંચ કલાક પૂછપરછ કરી હતી. અમોલ કીર્તિકર પૂર્વ લોકસભા સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. EOWને શંકા છે કે અમોલકીર્તિકર ખીચડી વિતરણનો ઓર્ડર મેળવવામાં કોન્ટ્રાક્ટરોને મદદ કરતા હતા.
ભાજપના નેતા કિરીટ સોમૈયાની ફરિયાદના આધારે, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ પેડનેકર અને BMCના બે વરિષ્ઠ અધિકારીઓ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરું સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પેડનેકર અને BMC અધિકારીઓ પર BMC દ્વારા મહામારી દરમિયાન આરોગ્ય સુવિધાઓના સંચાલનમાં અને કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓના મૃતદેહને સંગ્રહિત કરવા માટે બોડી બેગ, માસ્ક અને અન્ય વસ્તુઓની ખરીદીમાં દુરુપયોગ અને નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે. પેડનેકર કોરોના મહામારી દરમિયાન નવેમ્બર 2019થી માર્ચ 2022 સુધી મુંબઈના મેયર હતા.
બોમ્બે હાઈકોર્ટે 6 સપ્ટેમ્બરે પેડનેકરની અરજી પર સુનાવણી કરતા ધરપકડમાંથી ચાર સપ્તાહની વચગાળાની રાહત આપી હતી. જોકે, વચગાળાનો સમયગાળો હવે પૂરો થઈ ગયો છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આ મામલાની તપાસ થઈ રહી છે, તેથી પેડનેકરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની કોઈ જરૂર નથી. કોર્ટે પેડનેકરને EOW દ્વારા હાથ ધરવામાં આવતા કેસની તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 2,359 ગ્રામ પંચાયતોમાંથી 1180ના પરિણામ થયા જાહેર, ભાજપને મળી બમ્પર બેઠકો