Gujarati NewsMumbai। ED raids on Advocate Satish Uke House who filed petition against Fadnavis
ફડણવીસ વિરુદ્ધ અરજી દાખલ કરનાર વકીલના ઘરે ED ના દરોડા, લેપટોપ અને કેટલાક દસ્તાવેજો પણ સાથે લઈ ગઈ ટીમ
વકીલના નજીકના સહયોગીએ બાદમાં જણાવ્યું હતું કે ઉકે અને તેના ભાઈને સવારે 11 વાગ્યાની આસપાસ સેમિનરી હિલ્સ વિસ્તારમાં આવેલી ED ઓફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.
ગુરુવારે EDએ મહારાષ્ટ્ર(Maharashtra) ના નાગપુરમાં વકીલના ઘરે દરોડા પાડ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વકીલે કેટલાક વર્ષોથી ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ સવારે 6 વાગે નાગપુર સ્થિત વકીલ સતીશ ઉકેના પાર્વતી નગર વિસ્તારમાં સ્થિત ઘરે પહોંચી હતી. આ ટીમ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ (CRPF)ના જવાનો સાથે કડક સુરક્ષા હેઠળ પહોંચી હતી. પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સી EDની મુંબઈ યુનિટ કેટલીક જમીનના વ્યવહારને લઈને આ કાર્યવાહી કરી રહી છે.
વકીલના નજીકના સહયોગીએ બાદમાં જણાવ્યું હતું કે ઉકે અને તેના ભાઈને સવારે 11 વાગ્યાની આસપાસ સેમિનરી હિલ્સ વિસ્તારમાં આવેલી ED ઓફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓ ઉકેનું લેપટોપ, કેટલાક દસ્તાવેજો અને તેના પરિવારના સભ્યોના ચાર સેલ ફોન પણ તપાસ માટે ED ઓફિસમાં લાવ્યા હતા. બીજી તરફ વકીલના ઘરની બહાર EDને જોઈને વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
ફડણવીસ વિરુદ્ધ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી
ઉકેએ ભાજપના નેતાઓ ખાસ કરીને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરી છે. એક અરજીમાં, ઉકેએ ફડણવીસ પર તેમના ચૂંટણી એફિડેવિટમાં ફોજદારી કેસ જાહેર ન કરવાનો આરોપ મૂક્યો હતો, તેથી તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવી જોઈએ. ઉકેએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાએ 2014માં તેમની વિરુદ્ધ 1996 અને 1998માં નોંધાયેલા બે ફોજદારી કેસોમાં છેતરપિંડી અને બનાવટીને છુપાવીને ખોટી એફિડેવિટ દાખલ કરી હતી.
એડવોકેટ ઉકેએ સીબીઆઈ જજ બીએચ લોયાના શંકાસ્પદ મૃત્યુ અંગે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં અરજી પણ દાખલ કરી હતી. જજ લોયા સોહરાબુદ્દીન શેખના કથિત નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા. 2014માં નાગપુરમાં હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું.
કોંગ્રેસના નેતા નાના પટોલેના વકીલ પણ છે ઉકે
ઉકે મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતા નાના પટોલેના વકીલ પણ છે. કથિત ફોન ટેપિંગ કેસમાં પટોલેએ મહારાષ્ટ્રના પૂર્વ ગુપ્તચર વડા અને IPS અધિકારી રશ્મિ શુક્લા વિરુદ્ધ રૂ. 500 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.