બૃહદ મુંબઇ નગર નિગમ દ્રારા મુંબઇમાં આગામી 22 અને 23 ડિસેમ્બરે પાણીમાં કાપ મુકવામાં આવનાર હોવાની સૂચના આપી છે. મુંબઇમાં પાણી વિતરણ વ્યવસ્થામાં મરામત કરવાના ભાગરુપે પાણી કાપ મુકાનાર હોવાની જાણકારી જારી કરવામાં આવી છે. પાણી વિતરણના 15 ટકા જેટલો કાપ મુકવામાં આવશે. યેવાઇ સ્થિત ક્લોરીન ઇન્જેકશન પોઇન્ટ અને ઘાટકોપરમાં પાઇપલાઇનના વાલ્વ બદલવામાં આવનાર છે. જેને લઇને મુંબઇઘરાઓને બે દિવસ પાણીને લઇને મુશ્કેલી વેઠવી પડશે.
પેંગાવ, યેવઇ થી આગરા રોડ વાલ્વ કોમ્પલેક્ષ વચ્ચે મરામત કરવામાં આવનાર છે. જે મરામત કાર્ય આગામી મંગળવાર 22 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે શરુ કરવામાં આવશે. જે આગામી બુધવાર સવારે 10 વાગ્યા સુધી ચાલનાર છે. જેને લઇને આ દરમ્યાન ઘાટકોપર અને કુર્લામાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે નહી. પાણી પુરવઠા વિભાગ તરફ થી ક્લોરીન ઇંન્જેકશન પોઇન્ટની પણ મરામત કરવામા આવનાર છે.
BMC ના જણાવ્યા મુજબ ઘાટકોપર અને કુર્લા (N અને L વોર્ડ) માં પાણીનો પુરવઠો સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવશે. જ્યારે, A,B,C,D,E, G-West, H-East, H-West, K-East, K-West, P-North, P-South, R-North, R-South, L, N, S વોર્ડમાં મંગળવાર અને બુધવારે 15 ટકા ઓછું પાણી મળશે. બીએમસીએ તે વિસ્તારના રહેવાસીઓને વિનંતી કરી છે કે પાછલા દિવસે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે અને તેનો કરકસર ભર્યો ઉપયોગ થાય.
મુંબઇને પ્રતિદીન 3,950 મિલીયન લીટર પાણી ના પુરવઠાની આવશ્યકતા રહે છે. જે માટે મુંબઇને પાણી પુરુ પાડતા જળાશયોમાં લઘુત્તમ 14,47,363 મિલીયન લીટર પાણી હોવુ જરુરી છે. BMC નુ કહેવુ છે કે, આ વર્ષે ચોમાસામાં પર્યાપ્ત વરસાદને લઇને મુંબઇને પાણીને લઇને ચિંતાનુ અન્ય કોઇ કારણ નથી.