Maharashtra: રઝા એકેડમીના લોકો માત્ર કોંગ્રેસના શાસનમાં જ પોલીસ પર હુમલો કેમ કરે છે? દેવેન્દ્ર ફડણવીસે અમરાવતી હિંસા અંગે ઉઠાવ્યા પ્રશ્નો

અમરાવતી પ્રવાસ દરમિયાન પત્રકારોને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કોંગ્રેસના જમાનામાં રઝા એકેડમી પોલીસ પર શા માટે હુમલો કરે છે? મુંબઈમાં પણ આવી જ હિંસા થઈ હતી. ત્યારે પણ રઝા એકેડમીએ પોલીસ પર હુમલો કર્યો હતો.

Maharashtra: રઝા એકેડમીના લોકો માત્ર કોંગ્રેસના શાસનમાં જ પોલીસ પર હુમલો કેમ કરે છે? દેવેન્દ્ર ફડણવીસે અમરાવતી હિંસા અંગે ઉઠાવ્યા પ્રશ્નો
Devendra Fadnavis
| Edited By: | Updated on: Nov 21, 2021 | 10:15 PM

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અઘાડીની (Maha Vikas Aghadi) ઠાકરે સરકાર (CM Uddhav Thackeray) અને ભાજપ વચ્ચે અનેક મુદ્દાઓ પર આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ત્રિપુરામાં બનેલી ઘટનાની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. અમરાવતી, નાંદેડ અને માલેગાંવ જેવા શહેરોમાં હિંસા થઈ. જેના કારણે અમરાવતીમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. હાલમાં, વાતાવરણ સામાન્ય થઈ ગયું છે. આવી સ્થિતિમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  રવિવારે અમરાવતીની મુલાકાત લીધી હતી.

 

 

અમરાવતી પ્રવાસ દરમિયાન પત્રકારોને સંબોધતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કોંગ્રેસના જમાનામાં રઝા એકેડમી પોલીસ પર શા માટે હુમલો કરે છે? મુંબઈમાં પણ આવી જ હિંસા થઈ હતી. ત્યારે પણ રઝા એકેડમીએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારે પણ કોંગ્રેસની સરકાર હતી. તેથી રઝા એકેડમી કોની B ટીમ છે, કોની A ટીમ છે અને કોની પિલ્લુ છે તે બધા જાણે છે. જો કોઈને લાગે છે કે રઝા એકેડેમી ભાજપની બી ટીમ છે તો અમે રઝા એકેડમી પર પ્રતિબંધની માંગ કરીએ છીએ. કોંગ્રેસમાં હિંમત છે કે તે આના પર પ્રતિબંધ મુકે?

 

‘ફેક ન્યૂઝ પર અલગ-અલગ વિસ્તારોમાં મોરચા યોજવાની પરવાનગી કોણે આપી?’

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી જે ત્રિપુરામાં બની ન હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મસ્જિદ સળગાવી દેવામાં આવી છે, બાદમાં જાણવા મળ્યું કે તે મસ્જિદ નહીં પણ સીપીઆઈએમની ઓફિસ છે. કહેવામાં આવ્યું કે કુરાન બાળવામાં આવી છે. આ ખોટા સમાચારો પર રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોરચો કાઢવામાં આવ્યો? પરવાનગી કોણે આપી?

 

આની પાછળ શું હતું કાવતરું? તેની તપાસ કરવી જરૂરી છે. આયોજનબદ્ધ રીતે હિંસા ભડકાવવામાં આવી હતી. જ્યારે અમે બીજા દિવસે એટલે કે 13મી નવેમ્બરે તેમના વિરુદ્ધ બંધનું એલાન આપ્યું, ત્યારે 12 તારીખની કાર્યવાહી સામે પ્રતિક્રિયા આવી. પરંતુ પોલીસે 13મીએ લાઠીચાર્જ કર્યો હતો. 12મીએ લાઠીચાર્જ કેમ ન થયો?’

 

’13 તારીખની હિંસા પર એકતરફી કાર્યવાહી કરાઈ હતી, 12 તારીખની હિંસા પર કોઈ કાર્યવાહી થઈ ન હતી’

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ‘સમાજના ચોક્કસ વર્ગના લોકો વિરુદ્ધ એકપક્ષીય કાર્યવાહી કરવામાં આવી હતી, કારણ કે તેઓ ચોક્કસ વિચારધારા સાથે જોડાયેલા હતા. એબીવીપીના સંમેલનમાં હાજરી આપવા આવેલા લોકોની યાદી મંગાવવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ 12 તારીખની હિંસામાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.’

 

‘પાલક મંત્રી યશોમતી ઠાકુર મુસ્લિમ મતો માટે ચિંતિત, તેથી 12 તારીખની હિંસા પર મૌન’

ભૂતપૂર્વ મુખ્યપ્રધાને અમરાવતીના પાલક પ્રધાન યશોમતી ઠાકુર પર મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું ’12મીની ઘટના પર યશોમતી ઠાકુર કેમ કંઈ નથી બોલી રહ્યાં? તેમની વોટબેંક ઘટી જશે, શું તેથી  તેઓ બોલતા નથી? અમુક વર્ગના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમની દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તોડફોડ કરી હતી. પરંતુ 12 તારીખની હિંસા પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેની સામે આવતીકાલે ભાજપ જેલ ભરો આંદોલન કરશે.

 

દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો યશોમતી ઠાકુરે જવાબ આપ્યો

અમરાવતીના પાલક મંત્રી યશોમતી ઠાકુરે પણ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવેલા આરોપોના જવાબ આપવા મીડિયા સાથે વાતચીત કરી હતી. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘ફડણવીસ એક જવાબદાર નેતા છે, એવું લાગ્યું. પરંતુ તેમણે જે રીતે અમરાવતી આવીને અડધી-અધૂરી માહિતીના આધારે બેજવાબદારીભર્યા નિવેદનો આપ્યા છે, તે તદ્દન ઉશ્કેરણીજનક કહેવાશે. હું તેમને વિનંતી કરું છું કે તેઓ અહીં આવીને હિંદુ-મુસ્લિમ ન કરે.

 

12 નવેમ્બરની ઘટના નિંદનીય છે. પરંતુ 13 તારીખની ઘટના તેના કરતા પણ વધુ નિંદનીય છે. બંને દિવસોમાં હિંસા માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહા વિકાસ આઘાડી સરકાર સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે કામ કરી રહી છે. જે પણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં. હવે અમરાવતીમાં શાંતિ છે. કોઈએ બહારથી આવીને અમરાવતીને ઉશ્કેરવું જોઈએ નહીં.

 

આશિષ શેલારે ફડણવીસ પર યશોમતી ઠાકુરના લગાવેલા આરોપોનો જવાબ આપ્યો

આ દરમિયાન આશિષ શેલારે દેવેન્દ્ર ફડણવીસ પર યશોમતી ઠાકુરના આરોપોનો જવાબ આપતા કહ્યું કે ભાજપે તેની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે. હિંસા અને રમખાણો ન હોવા જોઈએ, તે જ યોગ્ય છે. ભાજપનું માત્ર કહેવું છે કે હિંદુઓ પર હુમલાઓ ન થવા જોઈએ. હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. યશોમતી ઠાકુર મુલાકાત લે છે, તે ચાલે છે. વિપક્ષના નેતાઓ મુલાકાત લે તો તે ઉશ્કેરણીજનક કાર્યવાહી કેવી રીતે થઈ જાય છે ?

 

આ પણ વાંચો : મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી, IMDએ કર્યુ યલો એલર્ટ જાહેર