મહારાષ્ટ્રમાં ( Maharashtra) ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta Plus Variant)ના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યારે રાજ્યમાં આ સંખ્યા 21થી વધીને 45 થઈ ગઈ છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) આપી હતી. આ 45 દર્દીઓમાં 27 પુરુષો અને 18 મહિલાઓ છે. જેમાં 20 દર્દીઓની વય 19 વર્ષથી 45 વર્ષની વચ્ચે છે. રાજ્યમાં રત્નાગિરી, જલગાંવ, પૂણે, થાણે, મુંબઈ, બીડ અને ઔરંગાબાદમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે.
જલગાંવમાં સૌથી વધુ 13, રત્નાગીરીમાં 11, મુંબઈમાં 6, થાણેમાં 5 અને પૂણેમાં 3 દર્દીઓ છે. પરંતુ રાજેશ ટોપેએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. સંબંધિત દર્દીઓને યોગ્ય રીતે સારવાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. તેથી ગભરાવાની જરૂર નથી.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે દરેક જિલ્લામાંથી 100 નમૂના લેવામાં આવે છે અને તેમને લેબમાં મોકલ્યા બાદ જીનોમ સિક્વન્સીંગ દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. આ તપાસમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાની માહિતી બહાર આવી છે.
હાલમાં સંક્રમણ દર સ્થિર, વધુ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓમાં પ્રતિબંધો યથાવત
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના દર્દીઓ સાથે જોડાયેલા લોકો અને તેઓ જે સ્થળેથી પસાર થયા છે, તે તમામ સ્થળેથી લોકોને શોધીને તેમનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા (Corona in Maharashtra) સ્થિર છે.
દરરોજ સાડા પાંચ હજારથી આઠ હજાર પોઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે. જે જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો દર ઉંચો છે એવા 11 જિલ્લાઓમાં લોકડાઉન સંબંધિત તમામ પ્રતિબંધો હજુ પણ યથાવત છે. આ જિલ્લાઓમાં લેવલ ત્રણના પ્રતિબંધો લાગુ છે. રાજેશ ટોપેએ સામાન્ય લોકોને કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી.
લોકડાઉનના નિયમોમાં થોડી છૂટછાટ વચ્ચે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધતા દર્દીઓ
રાજ્યમાં એક તરફ રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સામાન્ય નાગરિકોને 15 ઓગસ્ટથી મુંબઈ લોકલમાં મુસાફરી માટે છૂટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ્સ અને મોલ્સને લઈને પ્રતિબંધો હળવા કરવાના સંકેતો પણ મળ્યા છે. ત્યારે બીજી બાજુ આવા સમયમાં રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓની વધતી જતી સંખ્યાએ ચિંતા ઊભી કરી છે.
આ પણ વાંચો: ગુજરાત સાયબર સેલે શરૂ કરી એક અત્યાધુનિક સાયબર લેબ, સાયબર ગુના ઉકેલવામાં થશે અત્યંત મદદરૂપ