મહારાષ્ટ્રમાં કફ સિરપનું ઉત્પાદન કરતી છ કંપનીઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કફ સિરપ બનાવતી કંપનીઓના લાયસન્સ નિયમોના ઉલ્લંઘનના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી સંજય રાઠોડે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય આશિષ શેલાર અને અન્યો દ્વારા ધ્યાન દોરવાના પ્રસ્તાવ પર આ માહિતી આપી હતી. કફ સિરપ બનાવતી કંપનીઓ પરની આ કાર્યવાહીને વિલંબિત પરંતુ યોગ્ય કાર્યવાહી તરીકે ગણવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રની વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકારે ગૃહને આ પગલાં વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં નોઈડા સ્થિત કંપની દ્વારા બનાવવામાં આવેલ કફ સિરપ પીવાથી ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા હતા. નોઈડા પોલીસે કહ્યું હતુ કે તેઓએ અત્યાર સુધીમાં કંપનીના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે.
તો સાથે રાઠોડે કહ્યું હતુ કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કફ સિરપના 108 ઉત્પાદકોમાંથી 84 સામે તપાસ શરૂ કરી છે. જેમાંથી ચારને ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જ્યારે છ કંપનીઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી સંજય રાઠોડે જણાવ્યું હતું કે નિયમોના ઉલ્લંઘન બદલ 17 કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. વિશ્વના કેટલાક દેશોમાં ભારતીય કંપનીઓના કફ સિરપ પીવાથી બાળકોના મોતના બનાવો નોંધાયા છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ ભારતીય કંપનીઓની દવાઓ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર કફ સિરપનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરે તેવી અપેક્ષા હતી અને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે સરકારે અપેક્ષા મુજબ કડક કાર્યવાહી શરૂ કરી છે.
Published On - 6:37 am, Sun, 5 March 23