
અયોધ્યામાં રામ મંદિરના દાનની ચોરી અંગેનો વિવાદ માંડ માંડ શાંત થયો છે ત્યાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી પણ દાન ચોરીના આક્ષેપ કરવામાં આવ્યો છે. સોમવારે એક પત્રકાર પરિષદ દરમિયાન, સિદ્ધિવિનાયક ટ્રસ્ટના અધ્યક્ષ સદા સર્વાંકરે જણાવ્યું હતું કે, લગભગ રૂપિયા 18 કરોડની ચોરીનો કેસ પ્રકાશમાં આવ્યો છે. ચોરી કેસમાં અથવા તો મંદિરમાં દાદાના દર્શનની સુવિધા આપનારા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 46 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ આ મામલાની CID તપાસની પણ માંગ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ગુનેગારોનો UBT (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથ સાથે સંબંધ છે.
તેમણે જણાવ્યું કે અમુક કર્મચારીઓએ મંદિરમાં ચોરી કરી હતી, જેનો પર્દાફાશ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા થયો હતો. ત્યારબાદ, સિદ્ધિવિનાયક ટ્રસ્ટે નાયબ મુખ્યમંત્રીને એક પત્ર સુપરત કર્યો હતો. ત્યારબાદ, પ્રક્રિયાની સમગ્ર દેખરેખ માટે ACB અધિકારીની નિમણૂક કરવામાં આવી, ખાસ કરીને પૈસાની ગણતરીના દિવસોમાં.
ACB અધિકારીઓ દરેક ગેટ પર તહેનાત હતા, જેના કારણે ચોરોની ધરપકડ થઈ. મુખ્ય આરોપી, જેની ઓળખ રાજન પેંડુલકર તરીકે થઈ છે, તેને ટેકો આપનારા નવ અન્ય લોકો સાથે પકડાયો હતો. CCTV ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, તપાસમાં બહાર આવ્યું છે કે ગુનેગારોને UBT નેતા વિશાખા રાઉત દ્વારા રાખવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા મોટાભાગના વ્યક્તિઓ UBT શાખામાં (સ્થાનિક પક્ષ એકમો) વારંવાર જતા હતા. આ માહિતી મળતાં, ટ્રસ્ટે તપાસની માંગ કરી. ટ્રસ્ટીઓએ એક પત્ર લખીને શંકા વ્યક્ત કરી હતી કે, વાર્ષિક દાનના આંકડા રૂપિયા 18 કરોડ વધુ હોવા જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે આ મામલો અગાઉના ટ્રસ્ટી મંડળ સાથે જોડાયેલો છે. એ સ્પષ્ટ છે કે પકડાયેલા બધા કર્મચારીઓ UBT જૂથ સાથે જોડાયેલા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હિન્દુઓના આદરણીય દેવતા ભગવાન સિદ્ધિવિનાયકની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે. વધુમાં, દર્શનની સુવિધા માટે GPay દ્વારા ચુકવણી સ્વીકારવામાં સંડોવાયેલા 19 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દર્શનની વ્યવસ્થા ફૂલની દુકાનો દ્વારા કરવામાં આવી રહી છે અને સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સિદ્ધિવિનાયક મંદિરના તમામ કર્મચારીઓ પછી તે ચોરી કેસમાં સામેલ હોય કે અનધિકૃત રીતે દાદાના દર્શનની સુવિધા કરી આપનારાઓ હોય તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 46 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને 46 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે CID તપાસ પણ કરાવવામાં આવશે.