અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા (Amravati Umesh Kolhe Killing) નુપુર શર્માના સમર્થનમાં ફેસબુક પોસ્ટના કારણે થઈ હતી. હવે અમરાવતી પોલીસે પણ આ વાત સ્વીકારી લીધી છે. અમરાવતી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે. તેઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ છ આરોપીઓને 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા ભાજપ નેતા અનિલ બોન્ડે સતત દાવો કરી રહ્યા હતા કે જે રીતે ઉદયપુરના દરજી (Udaipur Kanhaiyalal tailor murder)નું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી, તે જ રીતે અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની પણ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.
ઉમેશ કોલ્હેએ ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં ફેસબુક પોસ્ટ કરી હતી. આ પછી તેને ધમકીઓ મળી રહી હતી. 21 જૂને તેમની હત્યા કરવામાં આવી હતી. પરંતુ અમરાવતી પોલીસે પ્રાથમિક તપાસમાં આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ પછી અમરાવતીના સાંસદ નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કહ્યું કે અમરાવતી પોલીસ મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે. નવનીત રાણાએ પોલીસ કમિશનર આરતી સિંહને હટાવવાની માંગ કરી હતી. હવે કમિશનર ઓફિસ તરફથી સ્વીકારવામાં આવ્યું છે કે ઉમેશ કોલ્હેની હત્યાનું કારણ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવાનું છે. પોલીસે આરોપી વિરુદ્ધ અન્ય કલમો સાથે 302 એટલે કે હત્યાનો કેસ નોંધ્યો છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય તપાસ એજન્સીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર એટીએસે પણ આ કેસની તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહેશે કે NIAની તપાસમાં શું સત્ય બહાર આવે છે. હાલ NIAની ટીમ અમરાવતી પહોંચી છે અને કેસની તપાસ શરૂ કરી છે. દરમિયાન પોલીસે પણ હવે લૂંટના હેતુને બદલે હવે હત્યાના એન્ગલથી તપાસની દિશામાં આગળ વધી રહી છે અને ઉદયપુરના દરજીની હત્યા સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.