Breaking News : મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારા બાદ પોલીસના વાહનો સળગાવ્યા

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન મારામારી બાદ ઉશ્કેરાયેલા જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો.

Breaking News : મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારા બાદ પોલીસના વાહનો સળગાવ્યા
| Updated on: Mar 30, 2023 | 8:37 AM

મહારાષ્ટ્રના સંભાજી નગરમાં બુધવારે મોડી રાત્રે એક મંદિરની બહાર બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બાદમાં આ હંગામો એટલો વધી ગયો કે બંને તરફથી મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો. આ ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હળવો બળપ્રયોગ કરીને બંને પક્ષના લોકોને વિખેરવા અને શાંતિ જાળવી રાખી હતી. આ ઘટના મોડી રાત્રે 12.30 વાગ્યે સંભાજી નગરના કિરાડપુરા મંદિરની બહાર બની હતી.

ઉશ્કેરાયેલા જૂથે પોલીસની ગાડીઓને આગ ચાંપી

મળતી માહિતી મુજબ, આ હંગામો મંદિરની બહાર બે યુવકો વચ્ચેના પરસ્પર ઝઘડાથી શરૂ થયો હતો અને ત્યારબાદ બંને યુવકોએ પોતપોતાના પક્ષના લોકોને બોલાવ્યા હતા. આ પછી મામલો સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ ગયો. ઘટનાસ્થળે પહોંચેલા બંને પક્ષના લોકોએ પહેલા એકબીજા સાથે ઝપાઝપી કરી અને પછી જોતાની સાથે જ પથ્થરમારો શરૂ કરી દીધો. આ દરમિયાન એક તરફના લોકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ગાડીઓને પણ લોકોએ આગ ચાંપી દીધી હતી.

હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ પ્રશાસન અને તમામ પક્ષોના રાજકીય આગેવાનોએ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા લોકોને અપીલ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર જાહેરાતને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, હવે સંભાજીનગરમાં શાંતિ છે.

 

Published On - 7:31 am, Thu, 30 March 23