
આજના સમયમાં ફ્રિજ દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. લોકો સમય બચાવવા માટે રસોઈ બનાવીને સ્ટોર કરે છે અથવા તો વધેલું ભોજન ફ્રિજમાં રાખી દે છે. ફ્રિજ ખોરાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે, દરેક વસ્તુ હંમેશા માટે ફ્રિજમાં તાજી રહે છે.
હકીકતમાં, દરેક ખોરાકની એક નક્કી સમય મર્યાદા હોય છે, ત્યારબાદ તેને ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી એ જાણવું ખૂબ જરૂરી છે કે, ફ્રિજમાં રાખેલો કયો ખોરાક કેટલા દિવસ સુધી સુરક્ષિત રહે છે.
ઘરમાં બનાવેલો રાંધેલો ખોરાક સામાન્ય રીતે ફ્રિજમાં બે થી ત્રણ દિવસ સુધી જ સુરક્ષિત રહે છે. ત્યારબાદ તેમાં બેક્ટેરિયા વધવાનું જોખમ વધી શકે છે, જ્યારે ઉકાળેલું દૂધ પણ બે થી ત્રણ દિવસ સુધી જ વાપરવું હિતાવહ છે. એવામાં પેકેટવાળું દૂધ ખોલ્યા પછી 2 દિવસની અંદર ખતમ કરી દેવું જોઈએ. દહીંની વાત કરીએ તો, તાજું દહીં ચાર થી પાંચ દિવસ સુધી ફ્રિજમાં સારું રહે છે પરંતુ જો તેમાં ખટાશ કે ખરાબ ગંધ આવવા લાગે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
લીલા પાંદડાવાળા શાકભાજી ત્રણ થી ચાર દિવસ સુધી ફ્રિજમાં સુરક્ષિત રહે છે, જ્યારે ગાજર, બીન્સ અને ફુલાવર જેવા શાકભાજી 5 થી 7 દિવસ સુધી ચાલી શકે છે. ફળોમાં સફરજન અને નાશપતિ 1 થી 2 અઠવાડિયા સુધી સુરક્ષિત રહે છે. દ્રાક્ષ અને સ્ટ્રોબેરી જેવા ફળો ત્રણ થી પાંચ દિવસમાં ખરાબ થઈ શકે છે. કાપેલા ફળોને વધુ સમય સુધી ફ્રિજમાં રાખવા યોગ્ય ગણાતા નથી. તેને 24 કલાકની અંદર ખાઈ લેવા જોઈએ અન્યથા તે બગડી શકે છે.
કાચા ઈંડા 7 થી 10 દિવસ સુધી ફ્રિજમાં સુરક્ષિત રહે છે, જ્યારે બાફેલા ઈંડા બે થી ત્રણ દિવસની અંદર ખાઈ લેવા જોઈએ. કાચું ચિકન કે માંસ 1 થી 2 દિવસ અને માછલી 24 કલાકથી વધુ ફ્રિજમાં ન રાખવી જોઈએ. બ્રેડને 5 થી 7 દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે પરંતુ વધુ સમય રાખવાથી તેનો સ્વાદ અને રચના બગડી શકે છે.
ફ્રિજમાં રાખેલા ચોખા 1 થી 2 દિવસની અંદર ખાઈ લેવા જોઈએ. રોટલીનો 12 થી 14 કલાકની અંદર ઉપયોગ કરવો વધુ સારો રહે છે, કારણ કે વધુ સમય રાખવાથી તેની પૌષ્ટિકતા ઓછી થઈ જાય છે. દાળને પણ બે દિવસની અંદર ખતમ કરી દેવી જોઈએ, કારણ કે વધુ સમય રાખવાથી તે પેટ સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે.