યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. જે દેશના યુવાનો (Youth)નબળી સ્થિતિમાં છે તેનું ભવિષ્ય પણ જોખમમાં છે. ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે શિક્ષણ અને રોજગાર જેવી મૂળભૂત બાબતો નથી અને તમામ યુવાનો બેરોજગાર છે. આ સિવાય ઘણા યુવાનો એવા છે કે જેઓ મર્યાદિત રોજગારીની તકોને કારણે તેમની આવડત મુજબ નોકરી (Job) મેળવી શકતા નથી અને ઓછા પગારમાં પણ કામ કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિઓ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) ઉજવવામાં આવે છે. જાણો કેવી રીતે અને ક્યારે શરૂ થયો આ દિવસ.
જાણો આ દિવસનો ઈતિહાસ
વિશ્વ યુવા કૌશલ્ય દિવસની શરૂઆત યુવાનોમાં બેરોજગારીના પડકારોને ઘટાડવા અને તેમને કૌશલ્ય વિકાસ માટે જાગૃત કરવા માટે કરવામાં આવી હતી. શ્રીલંકાની પહેલ પર, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 નવેમ્બર 2014 ના રોજ દર વર્ષે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 15 જુલાઈના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવા માટે જાગૃત કરવામાં આવે છે. આ અંગે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ દિવસે ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ભારતમાં 15 જુલાઈ 2015 ના રોજ પ્રથમ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં મફત ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ રોજગારી મેળવી શકે. 14 થી 35 વર્ષની વયજૂથના યુવાનો આ મિશન હેઠળ તાલીમ મેળવી શકે છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટે તાલીમ માટે નોંધણી કરાવવી પડશે. અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય છે. આ સર્ટિફિકેટ પછી યુવાનો કૌશલ્યના આધારે દેશમાં ગમે ત્યાં સરળતાથી રોજગાર મેળવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોના સમયગાળા પહેલા, આ મિશન દ્વારા લગભગ 3231 યુવાનોને તાલીમ આપવામાં આવી હતી અને 2778ને રોજગાર આપવામાં આવ્યો હતો. હાલમાં આ મિશન કોરોનાને કારણે બંધ છે.
Published On - 4:57 pm, Thu, 14 July 22