Gujarat : રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ

ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. લોકો વાયરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે.જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે.

Gujarat : રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ
mosquito borne diseases rise in gujarat
| Edited By: | Updated on: Dec 21, 2022 | 7:21 AM

રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે. તો ક્યારેક શિયાળામાં કમોસમી વરસાદ પણ પડે. ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. લોકો વાયરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે.જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે.

ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલ્ટી સહિતનો રોગચાળો વકર્યો

ગુજરાતમાં હાલ શિયાળાની ઠંડી ધીમે ધીમે વધી રહી છે. તો ક્યાંક કમોસમી વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ત્યારે બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં નાના બાળકો, વૃદ્ધો તો બીમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. સાથે જ યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. નાના બાળકોમાં ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. તો આ સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલ્ટી સહિતનો રોગચાળો પણ વકરી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાની વેક્સિન આપવામાં સ્ટાફ વ્યસ્ત થતાં હવે ઓરીએ માથું ઉંચક્યું છે. અમદાવાદ શહેરમાં નાના બાળકોમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. છેલ્લા એક સપ્તાહમાં જ ઓરીના વધુ કેસ નોંધાયા છે. જ્યારે કે ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં કુલ 50 કેસ સામે આવ્યા છે. આ પહેલા ઓક્ટોબરમાં 112 કેસ અને નવેમ્બરમાં 177 કેસ નોંધાયા હતા.  શહેરમાં ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, વટવા, જુહાપુરા, ગોમતીપુર અને રખીયાલ વિસ્તારમાં ઓરીની વધુ અસર જોવા મળી રહ્યો છે.

રોગચાળો વકરતા મનપાનું આરોગ્ય વિભાગ પણ સક્રિય

આ તરફ રાજકોટમાં પણ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વાઇરલ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ઉધરસ, તાવના 800થી વધુ કેસ નોંધાયા છે.. તો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયાના 17થી વધુ કેસ સામે આવ્યા છે. શહેરની હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે શહેરમાં રોગચાળો વકરતા મનપાનું આરોગ્ય વિભાગ પણ સક્રિય થઇ ગયુ છે. મેલેરિયાની ટીમ સંવેદનશીલ વિસ્તારમાં દવાનો છંટકાવ કરી રહી છે. તથા એક્ટિવ કેસ હોય ત્યાં ફોગિંગની કામગીરી હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે-ઘરે જઇ સર્વેલન્સની કામગીરી કરી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને કાબૂમાં લેવા લોકોને માહિતગાર કરી રહી છે. તથા ઓપીડીમાં આવતા દર્દીઓનું સ્ક્રિનિંગ કરી તેની પર સતત દેખરેખ પણ રાખવામાં આવી રહી છે.

રાજ્યમાં જે રીતે બેવડી ઋુતુ ચાલી રહી છે તેને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે બીજી તરફ અમદાવાદમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તો વાયરલ ઈન્ફેક્શન વધવાને કારણે પણ લોકો બીમાર થઈ રહ્યા છે, જેને કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

Published On - 7:21 am, Wed, 21 December 22