અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવો અરાઈવલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા નવી સેવાઓ થકી મુસાફરોના અનુભવને સુવિધાસભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વળી મુસાફરોમાં સામાજીક અંતર જાળવવાની સુવિધામાં પણ તે મદદરૂપ થશે. એરપોર્ટ પર 2250 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા નવા અરાઇવલ હોલથી વધુ બે બેલ્ટ ઉમેરાશે. એરપોર્ટના સ્થાનિક આગમન વિસ્તારમાં કુલ ચાર બેગેજ બેલ્ટ થઈ ગયા છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વધારા સાથે આગમન વિસ્તારની વિશિષ્ટ ક્ષમતા મુસાફરોના આરામ અને સગવડમાં વધારો કરશે. ડોમેસ્ટિક ટર્મિનલ પર મુસાફરોના પ્રસ્થાન માટે બે નવા બસ બોર્ડિંગ ગેટ ટૂંક સમયમાં જ કાર્યરત થશે. નવા બોર્ડિંગ ગેટ અને વધારેલા વિસ્તારની વધતી સુરક્ષા માંગને પહોંચી વળવામાં મદદ કરશે.